Mysamachar.in-જામનગર:
જામનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર હાલાર પંથક મોદીમય દેખાઈ રહ્યો છે. જામનગર શહેરમાં ભગવો લહેરાઈ રહ્યો છે. વડાપ્રધાનનાં આજનાં કાર્યક્રમો પૂર્વેનો ધમધમાટ વર્તાઈ રહ્યો છે. વડાપ્રધાન આજે જામનગરમાં રાત્રિરોકાણ કરવાનાં હોય, ખાસ કરીને રાજકીય વાતાવરણમાં એક અજીબ વાઈબ્રન્સી અનુભવાઈ રહી છે. કેમ કે, જાણકારો માને છે કે – આજે રાત્રે અથવા આવતીકાલે સવાર સુધીમાં હાલારની સાતેય વિધાનસભા બેઠકોનાં ભાજપાનાં ઉમેદવારો, લગભગ, ફાઈનલ થઈ શકે છે. કારણ કે, પ્રદેશ ભાજપા અધ્યક્ષ ખુદ બોલી ગયા છે કે – ચૂંટણી ટિકીટ અંગેનો આખરી નિર્ણય મોદી-શાહ જ લેશે. જો કે, પક્ષની પરંપરા મુજબ આ અંગેની સત્તાવાર જાહેરાત તો પક્ષનાં સંસદીય મંડળના નિર્ણય બાદ જ થઈ શકે. તેથી શક્યતા એ પણ છે કે – વડાપ્રધાન સ્થાનિક ભાજપાનાં આગેવાનોનાં ‘ મન કી બાત ‘ આજે જાણી લેશે, જેથી અમિત શાહ સાથેની આ સંદર્ભે મસલતો સમયે આ ફીડબેક અતિ ઉપયોગી પૂરવાર થઈ શકે.
વડાપ્રધાન આજે સોમવારે રાત્રે જામનગર સર્કીટ હાઉસ ખાતે રોકાણ કરશે. મોડી રાત્રિ સુધી બધું જ ધમધમતું રહેશે. સ્થાનિક આગેવાનો બાજી ગોઠવી રહ્યા છે, વડાપ્રધાન સમક્ષ આગામી ચૂંટણી સંદર્ભે શું શું વાતચીત અને રજૂઆત કરવી ? જામનગર શહેરની બે અને હાલાર એટલે કે બન્ને જિલ્લાની અન્ય પાંચ મળી કુલ સાત વિધાનસભા બેઠકો માટેની ચર્ચા વડાપ્રધાનનાં રાત્રિરોકાણ દરમિયાન મહ્ત્વનો મુદ્દો રહેશે. વિવિધ બેઠકો અંગેની સ્થાનિક જાણકારીનાં સંદર્ભમાં વડાપ્રધાન સ્થાનિક ભાજપાનાં આગેવાનોને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપશે તેમ જ જિલ્લાની સાત પૈકી નબળી અથવા રસાકસીભરી બેઠકો પર શું ધ્યાન આપવાનું થશે ? એ અંગે પણ વડાપ્રધાન માર્ગદર્શન આપશે.
અત્રે એ પણ નોંધનીય છે કે, બંને જિલ્લાની સાત પૈકી ત્રણ બેઠકો ખંભાળિયા, કાલાવડ અને જામજોધપુર તો વિપક્ષનાં કબજામાં છે. અને, જામનગર ગ્રામ્ય બેઠક પણ ભાજપાએ ગત્ ચૂંટણીમાં ગુમાવી હતી, બાદમાં આ બેઠક પર તોડફોડ કરવામાં આવી અને પેટા ચૂંટણી યોજાઈ અને આ બેઠક ફરી ભાજપના કબજામાં આવી… આ ઉપરાંત દ્વારકા -કલ્યાણપુર બેઠક પણ આ વખતે ભરેલું નારિયેળ જ હોવાનું જાણકારો કહે છે. આમ એકંદરે બંને જિલ્લામાં માત્ર બે બેઠકને બાદ કરતાં બાકીની તમામ બેઠક પર શાસકપક્ષે ખૂબ જ કસરત કરવી પડે એમ હોય, આ દ્રષ્ટિએ પણ વડાપ્રધાનની મુલાકાત અને રાત્રિરોકાણને સૂચક માનવામાં આવે છે, આંતરિક વર્તુળોનો ચર્ચાનો સૂર આવો સાંભળવા મળી રહ્યો છે. સાથેસાથે ઘણાં બધાં લોકો એવું પણ માને છે કે, નરેન્દ્રભાઇ પાસે જાદૂઈ છડી છે, તેઓ બધી બેઠકો કેમ કબજે કરી શકાય તેવી નવી ફોર્મ્યુલા સ્થાનિક આગેવાનો માટે દિલ્હી ગયા પછી મોકલાવશે.