Mysamachar.in-જામનગર:
જામનગરના જોડિયા પંથકના અમુક ગામોમાં છૂટાછવાયા સ્થળોએ સ્થળોએ ગઇકાલે ખાબકેલા માવઠાએ ખેડૂતોના ઉભા પાકને નુકશાન પહોચાડતા ફરી એક વખત ખેડૂતોને નુકશાન થયું છે, સિઝનના અંતમાં પાક તૈયાર થવાની અણી ઉપર છે તથા મોટાભાગનો પાક તૈયાર થઇ ગયો છે. ત્યારે ખરા સમયે ખાબકેલા માવઠાએ જોડિયા પંથકના કેટલાક ગામોના ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ કરી છે, સ્થાનિકો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ જામનગરના જોડિયા તાલુકામાં ગઇકાલે સવારે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ ભારે બફારા વાચ્ચે કમોસમી વરસાદ પડવાનું શરૂ થયું હતું. જોડિયાના જામદૂધઇ, બેલા, જામસર સહિતના ગામોમાં એકથી સવા ઇંચ પાણી વરસી પડતા ખેડૂતોએ સીઝન દરમિયાન લીધેલા ખેતીપાકને મોટાપાયે નુકસાન થયું હતું. તૈયાર મગફળીના પાકને પગલે મગફળી કાઢવાની પ્રક્રિયા ચાલતી હોવાથી માવઠાને લીધે પાક પાણીમાં તરબોળ થયો હતો.આમ માવઠાથી વધુ એક વખત ખેડૂતોને નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે.