Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
વિસ્તારની દ્રષ્ટિએ આમ તો સમગ્ર દેવભૂમિ દ્વારકા જીલ્લો સંવેદનશીલ છે, અને તેમાં પણ સલાયા વર્ષોથી વધુ સંવેદનશીલ માનવામાં આવે છે, અને આજે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ દેવભૂમિ દ્વારકા જીલ્લાના પ્રવાસે છે તે અગાઉની રાતે જિલ્લાના સલાયામાં એક અફવા અને તે બાદ ઉશ્કેરાયેલ કેટલાક તોફાની તત્વો દ્વારા પોલીસને નિશાન બનાવવાની ઘટનામાં પોલીસના વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે, તો એક પોલીસ કર્મચારીને માથામાં ઈજા પહોચી હોવાનું જાણવા મળે છે.
આ અંગે દેવભૂમિ દ્વારકાના DYSP હીરેન્દ્ર ચૌધરીના જણાવ્યા મુજબ તાજિયાનો તહેવાર ચાલી રહ્યો હતો ત્યારે તે દરમિયાન કોઈ લોકોને અફવાઓથી માહિતી મળેલ કે જામનગર જીલ્લામાં તેમજ રાજકોટ જીલ્લામાં તાજીયાના ઝુલુસ માટેની મંજુરી આપવામાં આવી છે, તેવી અફવા ફેલાઈ જતા તાજીયાના ઝુલુસ નીકાળવા બાબતે લોકો એકત્ર થઇ જતા પોલીસ પણ ત્યાં પહોચી હતી અને કોરોના ગાઈડલાઈન્સ અને સરકારની સૂચનાઓ મુજબ તાજીયાના ઝુલુસ ના નીકાળવા બાબતે લોકોને સમજાવતા હતા તે દરમીયાન પોલીસ અને ટોળા વચ્ચે બોલાચાલી અને ઘર્ષણ સર્જાઈ જતા જોવા જેવી થઇ હતી અને ઉશ્કેરાયેલ ટોળાએ પોલિસ અને પોલીસના વાહનોને નિશાન બનાવ્યા હતા આ અંગે દેવભૂમિ દ્વારકા એસપી સુનીલ જોશીએ વધુમાં જણાવ્યા મુજબ પોલીસની એક વાન અને એક પોલીસકર્મીને ઈજાઓ પહોચી છે અને સ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસે ટીયરગેસના સેલ છોડવાની પણ ફરજ પડી હોવાનું my samachar સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું.
-સ્થિતિ એટલી હદે વણસી કે…
સલાયામાં પોલીસ અને ટોળા સામસામે આવી જતા સ્થિતિ એટલી હદે વણસી હતી કે જીલ્લાની એલસીબી એસઓજી ઉપરાંત વધુ પોલીસ બળ અને જામનગરથી પણ કેટલીક ટીમો સલાયા ખાતે રાત્રીના સમગ્ર મામલો થાળે પાડવા માટે પહોચી હતી જે બાદ સ્થાનિક આગેવાનો અને પોલીસ વચ્ચેની સમજાવટ બાદ માંડ મામલો થાળે પડ્યો હતો.
-ટોળાએ મિજાજ ગુમાવી દીધો અને…
ખુબ મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતી અને પોલીસને નિશાન જેમાં એક પોલીસ કર્મચારીને માથાને ભાગે ઈજાઓ પહોચી છે, જયારે સરકારી ગાડીને ઉંધી વાળી દઈ મોટું નુકશાન પહોચાડવામાં આવ્યું છે. તો સ્થિતિ વધુ ના બગડે તે માટે પોલીસે ટિયરગેસ સેલ છોડી ટોળાને કાબુ કરવા પડ્યા હતા.