Mysamachar.in-જામનગર
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જામનગરની જી.જી. હોસ્પિટલના જૂના બિલ્ડીંગમાં આવેલ સર્જરી વિભાગમાં 232 બેડની અધતન સાધનોથી સજજ નવી કોવિડ ‘સી’ હોસ્પિટલનું ઇ લોકાર્પણ કર્યુ હતું. આ હોસ્પિટલમાં 22 બેડ વેન્ટિલેટરની અને બાકીના તમામ બેડમાં ઓકિસજનની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. આ ઉપરાંત લીનીયર એકસીલેટર તથા સીટી સીમ્યુલેટર મશીન, પોસ્ટ કોવિડ પલ્મોનરી કાર્ડિયેક અને રિહેબીલેટેશન તથા અત્યંત આધુનિક એકસરે મશીનનું ઇ. લોકાર્પણ પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યુ હતું.
જામનગરની સ્વાસ્થ્ય સેવા સુદઢ કરવા વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા જામનગરની જી.જી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને વઘુ અને ઝડપથી સારવાર મળી શકે તેવા પ્રયાસો કરાયા છે. કોવિડ હોસ્પિટલમાં બેડ, વેન્ટિલેટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, જામનગરની સૌથી જૂની આ હોસ્પિટલનું આધુનિકરણ થતાં જામનગર, દેવભૂમિ દ્વારકા સહિતના છેવાડાના વિસ્તારના દર્દીઓને અતિ આધુનિક સારવાર વિનામૂલ્યે પ્રાપ્ત થશે. રાજયનું હેલ્થ સ્ટ્રકચર વધુને વધુ સુવિધાજનક બને તે માટે રાજયસરકાર કટિબધ્ધ છે.
નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું હતું કે કોરોના, કેન્સર સહિતના દર્દોની ઉત્તમ સારવાર મળી રહે તે માટેની શ્રેષ્ઠ સારવારનો જામનગર ખાતેથી રાજય સરકારે શુભારંભ કરાવ્યો છે. હવે પછી રાજકોટ અને ભાવનગરમાં પણ આ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. જામનગર ખાતેના કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિન્ડોચા, કલેકટર રવિશંકર, મહાનગર પાલિકાના કમિશનર સતિષ પટેલ, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.