Mysamachar.in-ગાંધીનગર
ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે અનલોક-1 સાથે જનજીવન થાળે પડી રહ્યું છે, હા કેસોની સંખ્યામાં કાઈ નોંધપાત્ર કહી શકાય તેવો ઘટાડો નથી થયો, તો બીજી તરફ રાજ્યસભાની ચૂંટણી પણ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે ગુજરાતના સત્તાધારી પક્ષ ભાજપ સંગઠન અને સાથે સરકારના ઉચ્ચ અધિકારીઓમાં પણ બદલીઓની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ વાઘાણીની મુદત પૂરી થઈ ગઈ હોવાથી નવા પ્રમુખથી માંડીને જીલ્લાઓના સંગઠન ફેરફાર કરવાની દિશામાં પ્રક્રિયા શરૂ થઈ રહી છે. તેની સાથે જ રાજ્યના IAS અને IPS અધિકારીઓની બદલીઓ બઢતીઓની પણ થવાની શક્યતાઓ છે.
છેલ્લા 3 મહિનાથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ માળખામાં ફેરફારો સાથે સંગઠનની નવી રચનાનું કોકડું ગુંચવાયેલું છે. જો કે હવે આવી રહેલી નગરપાલિકા અને પંચાયતની સામાન્ય ચૂંટણીઓ પહેલા એટલે કે આગામી 10 દિવસમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઇ શકે છે. એટલું જ નહીં મહાનગરોના નવા પક્ષ પ્રમુખ સહિત ભાજપ પ્રદેશ સંગઠનની નવી રચના અંગેની પણ જાહેરાત થઇ શકે છે,તો કેટલાય સમયથી જેની રાહ જોવાઈ રહી છે તે રાજ્યના કેટલાય IAS અને IPS અધિકારીઓની મોટા પાયે બદલીઓ અને બઢતીઓ થશે. કોરોનાના કારણે અનેક અધિકારીઓ નિવૃત્ત થયા બાદ પણ ફરજ બજાવી રહ્યાં છે જયારે કેટલાકની બદલીની ઘડીઓ પણ ગણાતી હતી પરંતુ કોરોનાના કારણે અટકી પડી હતી ત્યારે હવે ગુજરાતના IAS અને IPSની બદલીઓનો ઘાણવો પણ ગમે ત્યારે નીકળી શકે છે.