Mysamachar.in-જામનગર:
જામનગરમાં જયારથી ભૂમાફિયા જયેશ પટેલનું નામ ચર્ચાસ્પદ બન્યું છે ત્યારથી શહેરનાં ચોક્કસ વર્તુળોમાં નિશા ગોંડલિયા નામનું સ્ત્રી પાત્ર પણ ક્રાઈમની ચર્ચાઓમાં સતત કેન્દ્રમાં રહ્યું છે ! નિશા ગોંડલિયા નામ બિટકોઇન કાંડ સાથે પણ સંકળાયેલું છે વધુ એક વખત આ નામ ગાજ્યું છે કેમ કે, હવે નિશા ગોંડલિયાની ધરપકડની પણ શક્યતા છે.
2019 ની સાલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા અને આરાધનાધામ વચ્ચેનાં વિસ્તારમાં આવેલી હોટેલ સિદ્ધિ નજીકનાં મેદાનમાં, પોતાની પર બે શખ્સોએ ફાયરિંગ કર્યું છે, એવું જેતે સમયે નિશા ગોંડલિયાએ જાહેર કરેલું. આ ફાયરિંગ ભૂમાફિયા જયેશ પટેલનાં સાગરિત યશપાલ જાડેજાએ કરાવ્યું હતું એવું પણ જેતે સમયે નિશાએ જણાવેલું. ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરેલી. આ ફાયરિંગ પ્રકરણની તપાસ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઐયુબ સહિતનાં બે શખ્સોને જેતે સમયે અમદાવાદ ઉપાડી ગયેલી, તેવું પણ ચર્ચાયું હતું.
આ ફાયરિંગ પ્રકરણનો તપાસ રિપોર્ટ તાજેતરમાં હાઈકોર્ટમાં પહોંચ્યો છે તે દરમિયાન નિશા ગોંડલિયાએ સંભવિત ધરપકડ ટાળવા હાઈકોર્ટમાં આગોતરા જામીનઅરજી પણ દાખલ કરી હતી. પરંતુ જસ્ટિસ સમીર દવેએ નિશાની જામીનઅરજી ફગાવી દીધી છે. આથી હવે ગમે ત્યારે નિશા ગોંડલિયાની ધરપકડ પણ થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જેતે સમયે નિશાએ પોલીસ તથા મીડિયા સમક્ષ એવી સ્ટોરી ઘડી કાઢેલી કે, પોતે કીરીટ જોષી મર્ડર કેસની સાક્ષી હોવાથી, જયેશના સાગરિત યશપાલે તેનો ( નિશાનો) કાંટો કાઢી નાખવા આ ફાયરિંગ કરાવ્યું હતું.
પરંતુ હાઈકોર્ટમાં પોલીસે આ ફાયરિંગ પ્રકરણનો જે રિપોર્ટ દાખલ કર્યો છે તેમાં એવો ઘટસ્ફોટ થયો છે કે, નિશાએ જ એક બિલ્ડર સાથે મળીને, પોતાનાં પર આ ફાયરિંગ કરાવ્યું હતું ! બિલ્ડરનું નામ જીતેન્દ્ર ગોરિયા ઉર્ફે લાલો જાહેર થયું છે. ફાયરિંગ પ્રકરણનો એક આરોપી ઐયુબ હરજાદા એક સમયે આ બિલ્ડરનો ડ્રાઈવર હતો. અને, ફાયરિંગ પ્રકરણનો અન્ય એક આરોપી મુકેશ ઉર્ફે મુકલો સિંધી જામનગરનો કુખ્યાત શખ્સ છે. નિશાએ લાલા સાથે મળીને ફાયરિંગની ઘટનાની આ સ્ક્રિપ્ટ લખેલી, એવું હાઈકોર્ટમાં પહોંચેલો પોલીસ તપાસ રિપોર્ટ કહે છે.
-બહુ ગાજેલી આ નિશા કોણ છે?!
નિશા ગોંડલિયાનું નામ જામનગરમાં વર્ષોથી ચર્ચામાં છે. તેણી અવારનવાર દુબઈ ફરવા જતી હોવાની પણ શહેરમાં ચર્ચા છે. શહેરનાં પોશ વિસ્તાર પંચવટી ગૌશાળા નજીક વૈભવી ફ્લેટ અને લકઝરી કાર ધરાવતી આ મહિલા સુરતનાં ચકચારી બિટકોઇન કાંડનાં આરોપી શૈલેષ ભટ્ટની સાળી હોવાની વિગતો પણ જેતે સમયે બહાર આવી હતી. નિશાએ ભૂતકાળમાં જામનગરમાં મીડિયા સમક્ષ એવું પણ જાહેર કરેલું કે, જયેશ પટેલ એન્ડ કંપનીએ તેણીનાં મોબાઈલમાંથી બિટકોઇન તફડાવી લીધેલાં !
નિશા આ અગાઉ બેત્રણ વખત જિલ્લા પોલીસ ભવન ખાતે પણ પહોંચી હતી. મીડિયા સમક્ષ પણ તેણીએ ઘણી વાતો કરી છે. જયેશ પટેલ ગેંગ દ્વારા પોતાનું શોષણ થયું છે, એવું જાહેર કરી તેણીએ ભૂતકાળમાં એવું પણ કહેલું કે – આ ગેંગને તેણી સુખેથી જિવવા નહીં દે. શહેરમાં ખાનગીમાં ચાલતી ચર્ચાઓ મુજબ, જામનગરમાં નિશાનું ફ્રેન્ડ સર્કલ અને પહોંચ મોટાં છે ! 2018 માં ટાઉનહોલ નજીક 28મી એપ્રિલે યુવા એડવોકેટ કિરીટ જોષીની કરપીણ હત્યા થયાં પછી, નિશા નામ શહેરમાં ગાજ્યું છે. અને, પોતાની પાસે કીરીટ જોષી મર્ડર કેસનાં મુખ્ય આરોપી ( લંડનમાં રહેતાં) જયેશ રાણપરિયા અંગે ઘણી સંવેદનશીલ માહિતી અને વિગતો છે, એવું નિશા એક કરતાં વધુ વખત જામનગરમાં મીડિયા સમક્ષ તથા પોલીસને પણ જણાવી ચૂકી છે.