Mysamachar.in-જામનગર
વૈશ્વિક મહામારી કોરોનાની બબ્બે વિનાશક લહેરમાં જામનગર સ્થિત સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલમાં વિવિધ પ્રકારની સેવા પ્રવૃત્તિઓની આહલેક જગાવનારા સ્વૈચ્છિક સંસ્થાના સૂકાની અને પરોપકારી પત્રકારને ગુજરાત સરકાર દ્વારા સ્વાતંત્ર્યદિને વિશિષ્ટ સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. વ્યવસાયે અખબારનવેશ પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સક્રિય કાર્યકર હોવાથી ચોવીસેય કલાક જેની પ્રવૃત્તિઓમાં જનસેવાની છાલક રહેતી હોય તેવા લોકપ્રિય પત્રકાર સંજયભાઈ જાનીની ભાતીગળ પ્રવૃત્તિઓથી શહેર આખું પરિચિત છે. તેમાંયે કોરોનાકાળની તેમની સક્રિયતા હોસ્પિટલના તબીબો, કર્મચારીઓ, વહીવટી તંત્ર, પત્રકાર સમુદાય અને દર્દી પરિવારોમાં અત્યંત પ્રસંશનીય રહી છે.
કોરોનાકાળમાં સંજયભાઈ ઈશ્વરલાલ જાનીએ સમાજસેવાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જામનગરના રંગતાળી ગ્રુપના મોભી એવા સંજયભાઈએ કોરોનાની બન્ને લહેરમાં પોતાનો સેવાયજ્ઞ અવિરત ચાલુ રાખી લોકોને મદદરૂપ થઈ અનેક પરિવારોને માનવીય હૂંફ પુરી પાડી છે. સંજયભાઈએ શહેરની જી.જી.હોસ્પિટલને જ કોરોનાકાળમાં જાણે પોતાનું બીજું ઘર બનાવી લીધું હતું. લાંબી કતારોમાં ઊભેલી એમ્બ્યુલન્સ તથા અન્ય ખાનગી વાહનો પાસે સંજયભાઈએ રૂબરૂ જઈ દર્દી, દર્દીના પરિવારજનો, ડ્રાઇવર તથા એટેન્ડેન્ટસને ફૂડ પેકેટ્સ, દવાઓ, ટિફિન સેવા તથા જરૂર પડી ત્યાં ઓક્સિજન સિલિન્ડર સહિતની વ્યવસ્થા કરી આપી આગવો માનવીય અભિગમ દાખવ્યો છે.
સંજયભાઈ જાની દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને કોરોનાકાળમાં અન્ય સેવાભાવી સંસ્થાઓની મદદથી દોઢ લાખથી પણ વધુ અનાજ કિટ્સ-ફૂડ પેકેટ્સ તથા ૫ચ્ચીસ હજાર માસ્કનું વિનામૂલ્યે વિતરણ કરાયું છે. કોરોનાની શરૂઆતથી જ તેઓએ કોરોનાનો સામનો કરી રહેલા પ્રથમ હરોળના કોરોના યોદ્ધાઓ જેવા પોલીસ, મેડિકલ, પેરા મેડિકલ સ્ટાફ વગેરેને રાત-દિવસ નાસ્તો તથા ભોજનની વ્યવસ્થા કરી આ કોરોના વોરિયર્સ માટે પ્રેરક બળ પૂરું પાડ્યું છે. કોરોના પોઝિટિવ બે હજારથી વધુ દર્દીઓને સંજયભાઈએ ઘરેથી લાવવા, હોસ્પિટલમાં દાખલ કરવા તેમજ તેઓ કોરોનામુક્ત થયે તેમને ઘરે પહોંચાડવાની પણ પ્રશંસનીય સેવા બજાવી છે. કોરોનામાં અવસાન પામેલા દર્દીઓના અંતિમ સંસ્કાર સમયસર થઈ જાય તેમજ દિવંગતના પરિજનોને કોઈ મુશ્કેલી ન પડે, તે માટે તેઓએ બીડું ઝડપી અનેક હુતાત્માઓના અંતિમ સંસ્કાર કરાવ્યા હતા.
ઉપરોક્ત સમગ્ર સેવામાં પોતાનો પરિવાર તેમના થકી કોરોના સંક્રમિત ન થાય તે માટેથી તેઓ ચાર મહિના સુધી સતત પોતાનાં પરિવારથી અળગા રહ્યા હતા. ‘રંગતાળી ગ્રુપ’ ના નામથી સ્વૈચ્છિક સેવા સંસ્થા ચલાવતા સંજયભાઈએ છેલ્લા ત્રણ દાયકામાં આગવી સૂઝથી શહેરને જે-જે લોકપ્રિય પ્રકલ્પો આપ્યા છે, તેની યાદી પણ બહુ જ વિશાળ છે. જામનગરમાં મકરસંક્રાંતિના પર્વે પતંગ ઉડાણનો જે માહોલ સર્જાયો છે, તેના મૂળમાં તેમનો વર્ષોનો પરિશ્રમ જોડાયેલો છે. અર્વાચીન ડાંડિયા મહોત્સવનું ત્રણ દસકાથી આયોજન કરવા ઉપરાંત છેલ્લા પાંચ વર્ષથી ખાસ બહેનો માટેના ડાંડિયા મહોત્સવ ‘સહિયર’નું આયોજન કરી રહ્યા છે. મહાદેવ હર મિત્ર મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સક્રિયપણે જોડાયેલા રહીને શિવ ‘શોભાયાત્રા’ તથા ‘રામસવારી’ના આયોજનમાં સલાહકારની ભૂમિકા ભજવતા આવ્યા છે.
‘બેટી બચાવો અને બેટી પઢાઓ’ અભિયાન અંતર્ગત ‘રંગતાળી ગ્રુપ’ ના નેજા હેઠળ જરુરિયાતમંદ પરિવારની નવ કન્યાઓને દત્તક લઈ તેના અભ્યાસની જવાબદારી સંભાળી રહ્યા છે. પ્રતિવર્ષ બે વખત વેકેશનના સમયગાળામાં 35 થી વધુ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન-સંચાલન કરી ક્રિકેટના બે નવા મેદાન સર્જ્યા છે. જામનગરનું પ્રદર્શન મેદાન કે જે 6 ફૂટ ઊંડું હતું, જેને શહેરના જુના ટાઉનહોલ સહિતના અલગ-અલગ જુના બિલ્ડિંગોના ડીમોલેશનના હિસ્સા વગેરે નાખીને સતત વીસ વરસના પ્રયત્નોથી સમથળ બનાવ્યું છે. આ ઉપરાંત જાહેર લોકમનોરંજનના લોકમેળા, જાદુગર, સર્કસ, પ્રદર્શન, રણમલ તળાવમાં પેડલ બોટ ચલાવવી, દીપોત્સવી બજાર, ગણપતિ વિસર્જન જેવા સફળ કાર્યક્રમો આપ્યા છે. અંધશ્રદ્ધાને દૂર કરવાના ભાગરૂપે સૂર્યગ્રહણ નિહાળવા માટે પુનાથી ખાસ પ્રકારના ચશ્મા આયાત કરી તેનું વિતરણ કરવું, ઉપરાંત સૂર્યગ્રહણ-ચંદ્રગ્રહણ સહિતના નિદર્શનના કાર્યક્રમો પણ ખગોળ મંડળ સાથે જોડાઇને યોજયા છે.