Mysamachar.in- દેવભૂમિ દ્વારકા:
આમ તો હાલારમાં કહીએ તો કોંગ્રેસમાં કાઈ ઉકાળી લેવાનું નથી, નેતાઓની પોતાની વ્યક્તિગત તાકાત હોય અને ચૂંટાઈ આવે તે બરોબર બાકી પક્ષમાં ઉપરથી રાજ્યવ્યાપી કાર્યક્રમો આવે અને કરવા પડે તે ઠીક પણ એ સિવાય કાઈ ખાસ હાલારના બન્ને જીલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કોંગ્રેસ વિપક્ષ તરીકે હોવી જોઈતી સક્રિય નથી, અને શાશક પક્ષ ભાજપ સામે બાયો ચઢાવવાને બદલે દિવસે ને દિવસે હાસ્યામાં ધકેલાઈ રહી હોય તેમ લાગે છે, ભારતના જુદા જુદા રાજ્યમાં છેલ્લા દિવસો દરમિયાન સ્થાનિક વિધાનસભાની ચૂંટણીઓ મહદ્ અંશે સંપન્ન થઈ ગઈ છે. જયારે આ વર્ષના અંત ભાગમાં ગુજરાત રાજ્યમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. આ ચૂંટણીમાં ખાસ કરીને ભાજપ સામે ટક્કર આપવા માટે કોંગ્રેસ દ્વારા આવતીકાલે શુક્રવારથી વિધિવત રીતે દેવભૂમિ દ્વારકા ખાતેથી દ્વારકાધીશના સાનિધ્યમાં ચૂંટણી પ્રચાર તથા અંગેની શિબિર મારફતે રણશીંગુ ફૂંકવામાં આવનાર છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે તારીખ 25 થી 27 મી સુધી પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રિદીવસીય પ્રદેશ સ્તરીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીથી માંડીને રાજ્યના તમામ મોટાગજાના નેતાઓ ઉપસ્થિત રહી અને સંબોધન કરશે, આ શિબિર અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાના તથા રાજ્ય કક્ષાના કોંગ્રેસના નેતાઓ ઉપરાંત સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેનાર છે. કોંગ્રેસ દ્વારા ચિંતન શિબિરથી પ્રારંભ કરવામાં આવનાર અને ચૂંટણીલક્ષી મનાતી આ કામગીરી અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોંગ્રેસ હાલ મૂર્છિત અવસ્થામાં હોય તેવો ભાસ લોકો કરી રહ્યા છે. મોંઘવારી, પેપર લીક કૌભાંડ સહિતના સ્થાનિક પ્રજાના પ્રશ્નો જેવા કે જર્જરિત રસ્તા, કૌભાંડોના મુદ્દે સ્થાનિક કોંગ્રેસમાં ખાસ કોઈ સળવળાટ જોવા મળ્યો નથી. પાર્ટીના આદેશ મુજબ ક્યારેક હાથ ધરવામાં આવતા વિરોધ કે આવેદનપત્રના કાર્યક્રમમાં આંગણીના વેઢે ગણી શકાય તેટલા જ કાર્યકરો જ જોવા મળે છે. એટલું જ નહીં, પ્રજાના પડખે રહેવાના બદલે કાર્યકરો સોશિયલ મીડિયામાં પણ પર્યાપ્ત પ્રમાણમાં પ્રસિદ્ધિ મેળવી શકતા નથી.
આ પરિસ્થિતિ વચ્ચે હાલારના બંને જીલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોંગ્રેસના ઘટતા જતા વર્ચસ્વ અને રાજ્યમાં કોંગ્રેસની હાલની પરિસ્થિતિ સંદર્ભે રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી ખાસ મનન- ચિંતન કરી અને આ શિબિરમાં સ્થાનિક કાર્યકરોને જાગૃત અને સક્રિય રહેવા માટે જરૂરી સલાહ-સૂચન કે બુસ્ટર ડોઝ આપે તે બાબત કોંગ્રેસના હિતમાં છે.હાલ જિલ્લાના કોંગ્રેસના હોદેદારો- કાર્યકરોમાં પણ સંકલન કે સંપૂર્ણપણે મનમેળનો અભાવ છે. ગ્રુપ ચાલે છે, જેનો લાભ અન્ય પાર્ટીને મળે છે અને વધુ મળે તે પહેલા કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ દ્વારા આ મુદ્દે પણ ચિંતન કરવું એટલા માટે જરૂરી છે કે પક્ષનું કદ વધવાને બદલે ઘટી રહ્યું હોય તેમ જાણકારોનો મત છે.જોઈએ કોંગ્રેસની આ ચિંતન શિબિરની ફલશ્રુતિ પક્ષ માટે શું હશે.