Mysamachar.in-અમદાવાદ:
રાજ્યમાં ભુપેન્દ્ર પટેલની સરકારના મંત્રીઓ એક્શન મોડમાં છે, તેમાં પણ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ તો જરાપણ મહેસુલ વિભાગમાં ચાલશે જ નહી અને લોકોને જાગૃત કરતા થોડા સમય પૂર્વે પણ કહ્યું કે હતું કે સીધી જ ફરિયાદ મને કરો…આજે વધુ એક વખત મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તેને મળેલ ફરિયાદ બાદ જબરા એક્શન મોડમાં દેખાયા…અમદાવાદમાં સ્ટેમ્પ ડ્યુટી કચેરીમા થતો ભ્રષ્ટાચાર છતો થયા બાદ મહેસૂલ મંત્રી ખુદ એક્શન મોડમાં આવ્યા અને તેવો સીધા જ તે કચેરી ખાતે પહોચ્યા હતા. હાઈકોર્ટ વકીલના આરોપો બાદ મંત્રી ખુદ સ્ટેમ્પ ડ્યુટી ઓફિસ પહોંચી અધિકારીઑના ક્લાસ લીધા હતા. તેમજ મોટી કાર્યવાહીના ભાગરૂપે સ્ટેમ્પ ડ્યુટી ઓફિસના તમામ કર્મચારીઓની બદલીના આદેશ કરી સાંજ સુધીમાં તમામ કર્મચારીઓની બદલી કરવા ઓર્ડર આપી દીધા હતા.
રાજેન્દ્ર ત્રિવેદીએ સમગ્ર મામલે નિવેદન આપતા કહ્યું છે કે આ સ્પષ્ટ ભ્રષ્ટાચારનો કેસ છે, કોઇ પણ સરકારી કર્મચારી આવું કરે તે નહી ચલાવી લેવાય, અધિકારી પુરેપુરો પગાર લે છે તે ખોટુ કરે તો સાંખી પણ લેવાશે નહીં. કર્મચારીઓએ કબૂલ કર્યું છે કે અહી વધારાના માણસો બેસતા હતા આથી જો હજુ પણ કોઈ અધિકારી કો-ઓપરેટ નહી કરે તો તેમની સામે કાર્યવાહી થશે. વકીલો પાસે જ સરકારી બાબૂઓ લાંચ માંગી રહ્યા હોવાનું સામે આવ્યું છે. સરકારી બાબુની લાંચ માંગતી એક ઓડિયો ક્લીપ સામે આવી છે. સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન કચેરીના અધિકારી પર છે ભ્રષ્ટાચારનો આરોપ, 1200 મકાનોની સોસાયટીમાં 1800 દસ્તાવેજ કરવા માટે લાંચ માંગવામાં આવી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે મહેસૂલ મંત્રી અગાઉ પણ મીડિયા સાથેની વાતચીતમાં કહી ચુક્યા છે કે ભ્રષ્ટાચાર કરતાં અધિકારીઑના વિડીયો રેકોર્ડીંગ કરો અને સબૂત સાથે મને જાણ કરો હાઈકોર્ટ વકીલે આવી રીતે મંત્રીને જાણ કરી હતી જે બાદ ખુદ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અમદાવાદ સ્થિત સ્ટેમ્પ ડ્યુટી કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં કાર્યવાહીના ભાગ રૂપે સાંજ સુધીમાં તમામ કર્મચારીઓની બદલી કરવાના ખાતાકીય તપાસના આદેશો પણ કરી દેવામાં આવ્યા છે.