Mysamachar.in-જામનગર
રાજ્યમાં અને ખાસ કરીને જામનગર શહેર અને જિલ્લામાં ભારે વરસાદને કારણે કેટલાય રસ્તાઓ તૂટી જતાં નવી રચાયેલ સરકારમાં મુખ્યમંત્રી અને માર્ગ મકાન મંત્રી દ્વારા આવા વરસાદને કારણે નુકશાન થયેલ હાઇવેના રસ્તાઓ અને શહેરના આંતરિક રસ્તાઓ ઝડપથી પૂર્ણ કરવા લગત મનપા અને નપા સહિત PWD ના અધિકારીઓને સૂચના આપી તેનો દૈનિક ધોરણે આં અંગેનો એક રિપોર્ટ ગુજરાત સરકારમાં પણ મોકલાઈ રહ્યો છે. એવામાં જામનગર મહાનગરપાલીકા હસ્તકના કેટલાય ડામર રોડ ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થતાં મનપા કમિશનર વિજયકુમાર ખરાડીના સઘન માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ પ્લાનિંગ શાખા દ્વારા આવા તૂટેલા રસ્તાઓની મોટાભાગની કામગીરી પૂર્ણ કરી પેચવર્ક, રિસરફેસ વર્ક, કરી મોટાભાગનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યા છે.
આજે આવા પૂર્ણ થયેલ કામોની સમીક્ષા કરવા મ્યુ કમિશનર વિજયકુમાર ખરાડી એ પ્રોજેક્ટ પ્લાનિંગ શાખાના કાર્યપાલક ઇજનેર ભાવેશ જાનીને સતત બે કલાક સાથે રાખી જે વિસ્તારોમાં આવા રોડ રસ્તાઓનું મરામત કાર્ય પૂર્ણ થયું છે તેની સ્થળ સમીક્ષા કરી હતી અને અત્યાર સુધી થયેલ અંગે પણ તેમણે સંતોષ વ્યક્ત કર્યો હોવાનું જાણવા મળે છે, વધુમાં બાકી રહેતું રોડ રીપેરીંગ પેચવર્ક નું કામ તાકીદે સરકારની સુચના મુજબ પૂર્ણ કરી અને લોકોને હાલાકી નાં ભોગવવી પડે અને રસ્તા રીપેરીંગના કામો ઝડપભેર યોગ્ય ગુણવતા સાથે પૂર્ણ કરવા પણ કમિશનરે સૂચનાઓ આપી હતી. આજે કમિશનરે શહેરમાં જુદા જુદા આવા પેચવર્ક રિસરફેસના કામોની સમીક્ષા બાદ નાઘેડી લહેર તળાવ, નાંઘેડી સ્મશાન, સહિતના સ્થળોની પણ પ્રોજેક્ટ પ્લાનિંગ શાખાના ભાવેશ જાનીને સાથે રાખી વિઝિટ કરી અને જરૂરી માર્ગદર્શક સૂચનો પણ કર્યા હતા.