Mysamachar.in-જામનગર
ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રોજગારીની નવી તકો ઉભી થાય તે માટે રાજ્યના વિવિધ 8 જિલ્લાઓમાં નવી GIDC ઉભી કરવાની જાહેરાત કરી છે, આ જાહેરાતમાં જામનગર રાજકોટ હાઈવે પર એટલે કે જામનગરથી નજીક શેખપાટ ગામે પણ નવી GIDC આકાર પામશે તેવી પણ જાહેરાત કરાઈ છે, આ જાહેરાત જરૂર આવકાર્ય છે, પણ આ સાથે સવાલ એવો પણ થાય કે શું આ જાહેરાત માત્ર જાહેરાત બની ને જ રહી જશે…??
આ સવાલ એટલા માટે થાય છે કે આજથી વર્ષો પૂર્વે કાલાવડ નજીક પણ આવી જ એક GIDC નું નિર્માણ કરવામાં આવ્યા બાદ અંદાજે બે વર્ષ પૂર્વે મુખ્યમંત્રીને હસ્તે જ લોકાર્પણ કરવામાં આવ્યા બાદ પણ આજની તારીખે પણ આ GIDCમાં કાગડા ઉડે છે, કારણ કે અહી જે કોઈ ઉદ્યોગો શરુ થવા જોઈએ તેવું કશું ના થતા આ GIDCનો ખર્ચ માથે પડ્યો છે.ત્યારે હવે વધુ એક વખત જામનગર નજીક શેખપાટ ગામે GIDC ની જાહેરાત આવકાર્ય પણ તેની હાલત પણ કાલાવડ જેવી જ થશે કે રોજગારીનો હેતુ ખરા અર્થમાં સિદ્ધ થશે તે જોવાનું છે.