Mysamachar.in-અમદાવાદ:
એક તરફ આ વર્ષે રાજ્યમાં ચોમાસાની ઋતુ બહુ જ અલગ પ્રકારની રહી તે વચ્ચે બે દિવસ પૂર્વે રાજ્યના હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાય સ્થળો પર માવઠાની આગાહીને પગલે ખેડૂતોની ચિંતામાં સ્વાભાવિક જ વધારો થયો હતો, ત્યારે આજે ફરી એક વખત હવામાન વિભાગે જે આગાહી કરી છે તેને લઈને ખેડૂતો પરથી ચિંતાના વાદળો હટી ગયા છે તેમ કહી શકાય તેવું છે,અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવતા હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી પરતું હવે રાજ્યમાં કમોસમી વરસાદને લઈને સારા સમાચાર સામે આવ્યા છે, રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ ટળી જતા ખેડૂતો માટે રાહત સમાન બની રહેશે
હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમા કમોસમી વરસાદ એટલે કે માવઠાનું સંકટ દૂર થયું છે પરંતુ અરબી સમુદ્રમા સર્જાયેલા ડીપ ડીપ્રેશના કારણે વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે, સાથે જ હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે, વાતાવરણમાં આવેલા પલટાને જોતા બંદરો પર 1 નંબરનુ સિગ્નલ લગાવવામા આવ્યુ છે.
અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે 5 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી હતી અને સાથે જ ગુજરાતના કેટલાક ભાગોમાં 7થી 9 નવેમ્બર દરમિયાન વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી હતી. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરની અસરથી ગુજરાતમાં માવઠુંની શક્યતાઓ જોવાઈ રહી હતી.શનિવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધાબડીયું વાતાવરણ સર્જાયું હતું. 10 નવેમ્બર સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં માવઠું થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
મોસમ વિભાગની આ સંભાવનાઓ વચ્ચે શનિવારે સવારથી જ રાજ્યના વાતાવરણમાં આચંક પલટો જોવા મળ્યો હતો. જ્યારે ઉત્તર-મધ્ય ગુજરાતમાં માવઠાંની શક્યતા નહિવત્ છે. લો-પ્રેશરની અસરથી આગામી બે દિવસમાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.