Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લામાં રીસર્વેની કામગીરીનો પાઇલોટ પ્રોજેકટ હતો અને રીસર્વેની કામગીરી થતાં જામનગર જિલ્લામાં વિપુલ પ્રમાણમાં ક્ષતિઓ રહી જવા પામેલ છે, અને તે અંગે હજારો ખેડૂતોએ રીસર્વે પ્રમોલગેશન બાદ ક્ષતિઓ રહી ગયેલ હોય, તે સુધારી આપવા અંગે લેખિત અરજીઓ કરેલ છે અને અનેક ખેડૂતો આ રીસર્વેની કામગીરીથી આજે પણ પરેશાન થઇ રહેલ છે,
જે અંગે જામનગરના વકીલ હિરેન એમ.ગુઢકાએ મુખ્યમંત્રીને ડી.ઇ.લે.રે. કચેરી જામનગરમાંથી ગાગવા ગામના જુદા જુદા બે સ્કેચ કઢાવી તેની નકલ આધાર તરીકે રજૂ કરીને ધારદાર રજૂઆત કરેલ હતી અને રજૂઆતમાં જણાવેલ હતું કે, મોટાભાગની ખેતીની જમીનોના હૈયાત ગાડા માર્ગ અને રસ્તાઓ દર્શાવવામાં આવેલ નથી. તેવી રજૂઆત આધાર પુરાવા સાથે મુખ્યમંત્રીને કરવામાં આવતા મહેસુલ વિભાગને અરજદાર હિરેન ગુઢકા (એડવોકેટ)ની અરજી કાર્યવાહી કરવા માટે મોકલવામાં આવેલ હતી,
ત્યારબાદ તે રજૂઆત સેટલમેન્ટ કમીશ્નર અને જમીન દફતર નિયામકની કચેરી, ગુજરાત રાજ્યને મળતા સેટલમેન્ટ કમીશ્નર અને જમીન દફતર નિયામકની કચેરીના કચેરી અધિક્ષક (જ.દ.) દ્વારા હિરેન એમ. ગુઢકા એડવોકેટને લેખિતમાં જણાવવામાં આવેલ છે કે, સરકાર દ્વારા હાલમાં રીસર્વે પ્રમોલગેશનની કામગીરી સ્થગિત કરવામાં આવેલ છે તથા રીસર્વે કામગીરીમાં રહી ગયેલ ક્ષતિઓ સુધારવા માટે ખેડૂત ખાતેદારો કોઇપણ જાતની ફી ભર્યા સિવાય સાદી અરજીથી વાંધો રજૂ કરી સુધારણા કરાવી શકે તેવી જોગવાઇ કરવામાં આવેલ છે.
-સરકારી કચેરીએ કરવાનુ કામ રજુઆત કરનાર વકીલને સોંપાયુ….!!!
ખેડૂત ખાતેદારો દ્વારા વાંધા અરજી રજૂ કરવાની મુદત લંબાવવામાં આવેલ છે આ કામગીરી યુધ્ધના ધોરણે પૂર્ણ કરવા જિલ્લાના તમામ અધિકારીઓને સુચના આપવામાં આવેલ છે તથા ક્ષતિ સુધારણાની કામગીરી ખાતાના સર્વેયરો દ્વારા કરવામાં આવે છે. જે અંગે ખેડૂત ખાતેદારોને માહિતગાર કરવા રજુઆત કરનાર વકિોલને જ જવાબદારી સોંપાઇ હતી જેમાં ખેડૂત ખાતેદારોને આ બાબતે માહિતગાર કરવા માટે જામનગરના વકીલ હિરેન એમ. ગુઢકાને સેટલમેન્ટ કમીશનર અને જમીન દફતર નિયામકની કચેરીના કચેરી અધિક્ષકના પત્રથી વિનંતી કરવામાં આવેલ છે. ખરેખર આ બાબતે ખેડૂત ખાતેદારને માહિતગાર કરવાની કામગીરી સેટલમેન્ટ કમીશ્નરની કચેરીએ જ કરવી જોઇએ તેવી ટકોર પણ આ તકે કરાઇ છે.