Mysamachar.in-જામનગર
જામનગર વોર્ડ નંબર 12ના પ્રશ્નો માટે હંમેશા સજાગ રહેતા આ વિસ્તારના કોંગી કોર્પોરેટર અને પૂર્વ વિરોધ પક્ષ નેતા અસ્લમ ખીલજીએ આ વિસ્તારમાં સમાવિષ્ટ નગરસીમ વિસ્તારમાં મુખ્ય રોડ પર છેલ્લા 4 વર્ષથી અંધારપટ્ટ, તંત્રના પક્ષપાતી વલણનો આક્ષેપ કરી અને કમિશ્નરને પત્ર લખી અને જો યોગ્ય કાર્યવાહી ના થાય તો કમિશ્નર ચેમ્બર બહાર આશ્ચર્યજનક કાર્યક્રમની ચીમકી આપતા તંત્ર દોડતું થયું છે, અસ્લમભાઇ ખીલજીએ જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યું છે કે આ વખતો વખત રજૂઆત કરવામાં આવી છે અને અવાર નવાર લેખિત તથા મોખિક ચર્ચા કરવા છતા નગરસીમ વિસ્તારમાં છેલ્લા 4 વર્ષથી અંધારપટ્ટ (બ્લેક આઉટ) જેવી ભયંકર ખરાબ સ્થિતિ હોઈ છતા પણ તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી.
નગરસીમ વિસ્તાર માં કાલાવડ નાકા બહારથી મહાપ્રભુજીની બેઠક સુધી અને કલ્યાણ ચોક થી સનસીટી-2 સુધીનો મેઈન રોડ માં ભારે વરસાદના લીધે સમગ્ર રસ્તાઓનું ધોવાણ થયું હોઈ અને મોટા ગાબડાઓ પડ્યા છે, આવી પરિસ્થિતિમાં મેઈન રોડ પર લાઈટો ન હોવીએ એક ગંભીર બાબત છે.આવનારા દિવસોમાં ફરીથી ચોમાસાનું આગમન થવાનું હોય અંધારપટના લીધે વારંવાર અકસ્માતો થાય છે. આ અંધારપટ્ટના લીધે ચોરી અને લુંટફાટના બનાવો પણ વધ્યા છે. અને આવારા અને લુખ્ખા તત્વો એનો ફાયદો ઉપાડે છે જેથી કરી લોકોમાં પણ ભયનો માહોલ છે.
નગરસીમ વિસ્તારના મેઈન રોડ પર LED લાઈટો નાખવા માટે છેલ્લા ચાર વર્ષથી લેખિત તથા મૌખિક તેમજ સામાન્ય સભામાં અનેક વખત રજુઆતો કરેલ છે. તેમ છતાં પણ તંત્ર અને સતાધીશો દ્વારા પક્ષપાત ભરીનીતિ રાખવામાં આવે છે. દ્વારા જયારે પણ LED લાઈટની માંગણી કરવામાં આવે છે ત્યારે તંત્ર અને સતાધીશો દ્વારા હાલ LED લાઈટો નથી તેવું જણાવવામાં આવે છે. જયારે આશરે દસ મહિના પહેલા ગુલાબનગર થી નુરીચોકડી અને નુરીચોકડી થી મહાપ્રભુજીની બેઠક સુધી 180LED લાઈટો નાખવામાં આવી. આ કામગીરી પ્રશંસનીય છે પણ આ દર્શાવે છે કે તંત્ર અને સતાધીશો દ્વારા અમારા પ્રત્યે ઇરાદાપૂર્વક ખુલ્લો પક્ષપાત રાખવામાં આવે છે. હવે આ મામલે અસ્લમ ખીલજી આક્રમક મુડમાં આવ્યા છે અને જો નગરસીમ વિસ્તારમાં મેઈન રોડ પર દસ દિવસમાં LED લાઈટો લગાડવામાં નહિ આવે તો કમિશ્નર ચેમ્બરબહાર આશ્ચર્યજનક કાર્યક્રમની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.