Mysamachar.in-જામનગર
વર્તમાન સમયમાં જ્યાં જુઓ ત્યાં કોરોના કોરોના સિવાયની કોઈ ચર્ચાઓ લગભગ સાંભળવા મળતી નથી, આ મહામારી વચ્ચે પણ કદાચ રાજ્યની મહાનગરપાલિકાઓ અને જીલ્લા પંચાયતો સહિતની ચુંટણીઓ સમયસર થાય તેવું અનુમાન રાજકીય વિશ્લેષકો લગાવી રહ્યા છે, હા જો કે ચુંટણી કરવી કે મુલતવી રાખવી તેનો નિર્ણય ચુંટણી પંચે જ કરવાનો હોય છે,
એવામાં લગ્ન નજીક હોય અને વરવધુ અને તેના ઘરના જેમ તૈયારીઓ કરતા હોય તેવી જ તૈયારીઓ અમુક વરસાદી દેડકાઓ આ શબ્દનો પ્રયોગ એટલા માટે અહી કર્યો છે કે આવા રાજકીય લાભ લેનાર ટીકીટવાંછું પાછા ચુંટણી સિવાય પાંચ વર્ષ ગોત્યા જડતા નથી, એટલા માટે જેમ વરસાદની મોસમમાં દેડકાઓ સક્રિય થતાં હોય છે. એવી રીતે ચૂંટણીની મોસમ આવતાં જ આવા કેટલાક દેડકાઓ સક્રિય થયા છે,
પક્ષને અને પક્ષના નેતાઓને ગોળ ગોળ રમાડી ના માને તો દબાવી અને ટીકીટો લે છે અને પક્ષની આબરૂ પણ નીલામ કરે છે, એવા જ કેટલાક દેડકાઓ જામનગરમાં છેલ્લા કેટલાક દિવસથી સોશય્લ મીડિયા સહિતના માધ્યમોમાં સક્રિય થયા છે અને પોતે આગામી ચુંટણી માટે દાવેદાર હોવાનું ગાણું ગઈ રહ્યા છે, મજાની વાત તો એ છે કે ચૂંટણી વખતે જ તેઓને બધું દેખાતું હોય છે. દરેકને અભરખા ભારે હોય છે કે નેતા બન્યા પછી પાંચ વર્ષ કંઈ પછી કરવું નથી હોતું! એટલે જેવી ચુંટણીઓ નજીક આવે કે લોકોને એક સમૃદ્ધ લોકશાહી લાગે એવા દેખાડાઓ અને નાટકો શરૂ થાય. તેમજ વચનોની લ્હાણી કરાય.
જે કામ માટે જનપ્રતિનિધિ હોય છે તે તો એમના એમ જ હોય છે. લોકોને તેનો જનપ્રતિનિધિ ચૂંટયા પછી લગભગ દિવસે દીવો લઈને નીકળવું પડે એમ હોય છે. એમાં શું કે નેતાજીને ચુંટણી સમયનો થાક ઊતરતા ઘણો લાંબો સમય જોઈંએ સ્વાભાવિક છે. છતાંય લોકોના કામો તો બહુ નિરાંતે થાય તો થાય. નેતાજી પાસે બહુ કામ હોય ને.. કેમ કે એમને બધું જ સાંભાળવાનું હોય! એમાંય દરેક કાર્યક્રમોમાં ચોક્કસપણે હાજરી આપવાની હોય, રાજકીય સંબંધો ખાસ ડેવલોપ કરવાના હોય…..
પરંતુ દરેક રાજકીય પક્ષો જો આવા જે ખાલી વરસાદી દેડકાની જેમ બહાર નીકળે છે તેને ટીકીટ ન આપે તો તો લોકોહિતના કામો જબરજસ્ત થાય હો.. તે વાત નક્કી છે. જે તે પક્ષની પ્રતિષ્ઠા પણ જળવાય રહે. એમાં પછી ‘મૈ નેતા હુ..’નો ઠાઠ ઠઠારીને લગભગ નેતાઓ પાંચ વર્ષ ફરતા રહે છે. આપણે જાગૃત બનીને અને આગળ આવીને નેતાઓને લોકહિતના કાર્યોમાં જોડાયેલા જ રાખવા જોઈએ. કેમ કે નેતા લોકસેવક છે અને લોકસેવકને લોકોના કાર્યો કરવાના હોય છે.
નેતાની તે જવાબદારી પણ છે. તેમજ તે જવાબદારીના વહન માટે તો આપણે તેને આપણા જનપ્રતિનિધિ બનાવીએ છીએ. સાચા અર્થના વિકાસ તરફ ગતિ થાય એ મહત્વનું છે, નહિ કે ચુંટણી જીતી ગયા બાદ ભાઈ કે બહેન પાંચ વર્ષ સુધી દેખાય પણ નહિ…એટલે તમે પણ ચુંટણી આવે ત્યારે એટલું ચકાસી લેજો કે તમે જેને મત આપી રહ્યા છો તે તમારા વિસ્તારના કામોમાં પાંચ વર્ષ રસ લે નહિ કે પોતાના અંગત સ્વાર્થ માટે કળા કરતા રહે.