Mysamachar.in-જામનગર
જામનગર પીજીવીસીએલ દ્વારા વારંવાર ચેકિંગ તો કરવામાં આવે છે અને મસમોટા વીજચોરી પકડી પાડી હોવાના આંકડાઓ પર દર્શાવવામાં આવે છે, પણ ખરેખર થવું જોઈતું ચેકિંગ થતું હશે કે કેમ તે સવાલ ત્યારે થાય જયારે વડોદરાથી વિજીલન્સ ટીમ આવી અને જામનગર ડીવીઝન અને જામજોધપુર પીજીવીસીએલ કચેરીના અધિકારીઓને અંધારામાં રાખી અને 90 લાખની અને ભારે આશ્ચર્ય પમાડે તેવી અલગ મોડસ ઓપરેન્ડી વાળી વીજચોરી ઝડપી પાડી જે ખુબ ગંભીર બાબત જામજોધપુર પીજીવીસીએલ કચેરી અને તેના અધિકારીઓ માટે તો છે જ..
વાત કઈક એવી છે કે જામજોઘપુરના પાટણ ખાણ વિસ્તારમાં ખાનગી ટ્રાન્સફોર્મર મૂકી કરવામાં આવતી વીજચોરીનો વડોદારાની વીજીલન્સ ટીમે ઓપરેશન કરી પર્દાફાશ કરી રૂ.90 લાખની પાવરચોરી પકડી પાડતા જિલ્લાભરમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે સ્થાનિક વીજવિભાગની મીઠી નજર હેઠળ આવી રીતે વીજચોરી થતી હશે.? કે સીધું જ વિજીલન્સને ત્રાટકવું પડ્યું…
સ્થાનિક વીજતંત્રને અંધારામાં રાખી વડોદરાની ટીમે દરોડા પાડતા અનેક સવાલ ઉઠયા છે. જામજોઘપુર તાલુકામાં ખાણોમાં મોટાપાયે વીજચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આમ છતાં સ્થાનિક વીજતંત્ર દ્વારા કોઇ પગલાં ન લેવાતા બુધવારે વીજકંપનીની વડોદરા વીજીલન્સના વડા અનુપમ ગેહલોતની રાહબરી હેઠળ પાંચ ટુકડી તાલુકામાં ત્રાટકી હતી. વીજીલન્સ ટુકડીના અધિકારીઓએ પાટણ ખાણ વિસ્તારમાં દરોડા પાડી ખાનગી ટ્રાન્સફોર્મર મૂકી કરવામાં આવતી વીજચોરી પકડી પાડી હતી. ચેકીંગના અંતે રૂ.90 લાખની વીજચોરી ખુલતા દંડનીય બીલ ફટકારી 5 લોકો સામે આ અંગે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
-નાયબ ઈજનેર કણસાગરા કહે હું ફિલ્ડમાં છું…વાહ પણ ધ્યાન આપજો ફિલ્ડમાં તો ટીમને ધક્કો ના થાય..
વિજીલન્સના દરોડા બાદ સ્થાનિક અધિકારીઓ મો છુપાવવાના પ્રયાસો કરે છે, આવું જ આજે જામજોધપુર પીજીવીસીએલ કચેરીના નાયબ ઈજનેર કણસાગરાની પાસેથી આ મામલે માહિતી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે સાહેબે કહ્યું કે “હું ફિલ્ડમાં છું વિગતો મારી પાસે સાથે નથી તમે વર્તુળ કચેરીમાં થી લઇ લો…” અરે સાહેબ આપ ફિલ્ડમાં છો તે સારી બાબત છે અને આપ તેમજ આપના કાર્યપાલક ઈજનેર સહિતની ટીમ ખુબ સારી ફરજ બજાવો છો પણ થોડું હજુ વધુ ધ્યાન ફિલ્ડમાં આપજો જેથી વિજીલન્સ ટીમને વડોદરાથી જામજોધપુર સુધી આવવાની જહેમત ના ઉઠાવવી પડે..અને આપની ફિલ્ડમાં રહેવાની મહેનત લેખે લાગે…
-નાયબ ઈજનેર જેઠવાનો જવાબ…
આ મામલે જામનગર વર્તુળ કચેરીના નાયબ ઈજનેર જેઠવાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે કેટલાક સમયથી વીજચોરી આ રીતે ચાલતી હશે તે કહી શકો તો સાહેબે કહ્યું કે “અમને ખબર હોય તો અમે વહેલી ના પકડી લીધી હોય” અને વધુમાં તેવોએ કહ્યું કે વિજીલન્સ દ્વારા તેમની કાર્યવાહી બાદ અમારી ટીમને બોલાવવામાં આવી હતી.