Mysamachar.in-ગાંધીનગર
ગીર ફાઉન્ડેશન દ્વારા ઇન્દ્રોડા પ્રકૃતિ ઉધાનના પ્રાણી સંગ્રહાયલ ખાતે સિંહ, વાધ અને દીપડા માટે ‘ઓપન મોટ’ પ્રકારના આઘુનિક આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. જે આવાસોનું લોકાર્પણ આજરોજ વન મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે વન રાજય મંત્રી રમણભાઇ પાટકર ઉપસ્થિત રહ્યા હતા. સિંહો ગુજરાત જ નહિ, સમગ્ર દેશનું ગૌરવ છે, તેવું કહી વન મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, તે પ્રકારે વાધ અને દિપડા પણ આપણું ગૌરવ છે. આજે ગાંધીનગરના આંગણે રૂપિયા બે કરોડથી વધુના ખર્ચે વન્ય જીવ એવા સિંહ, વાધ અને દિપડા માટે ઓપન મોટ પ્રકારના આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ રાજય સરકારના કરૂણા અભિયાનની પણ વિસ્તૃત માહિતી આપી હતી.
રાજયના પાટનગરમાં વધુ એક જોવા લાયક સ્થળ અને લોક આકર્ષણનું કેન્દ્ર ઇન્દ્રોડા પાર્ક બનશે, તેવું કહી મંત્રીએ ઓપન મોટ અંગેની માહિતી આપતાં ઉમેર્યું હતું કે, વન્યજીવોની સુરક્ષા, સલામતી અને અનુકૂળતાઓને ધ્યાનમાં રાખી આ ‘‘ઓપન મોટ’’ પ્રકારના આવાસો તૈયાર કરાયા છે. જેમાં પથ્થર શિલાઓ, વૃક્ષ-વનસ્પતિઓ, કાષ્ઠ, ઘાસ-વાંસ સહિતના કુદરતી સંશાધનોનો ઉપયોગ કરી આવાસોને આબેહૂબ નૈસર્ગિક બનાવાયા છે. આ આવાસોમાં મુખ્યત્વે વન્યજીવોને આરામ કરવાના ગઝેબો, પથ્થરની ગુફાઓ, પાણીના ઝરણા, નાના તળાવ, રેમ્પ અને સ્ટેજ પણ તૈયાર કરાયા છે. જેથી વન્યજીવોને પોતાના નૈસર્ગિક આવાસમાં જ રહેતા હોવાની અનુભૂતિ થાય. એટલુ જ નહિ મુલાકાતીઓ માટે ખાસ ગેલેરી તથા પથ બનાવી આ આવાસોની અંદર તથા બહાર ઘનિષ્ઠ વનિકરણ કરી કુદરતી ઓપ આપવામાં આવ્યો છે.
રાજયમાં 674 જેટલા સિંહોની વસ્તી હોવાનું કહી મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, રાજય સરકારના ક્લિન ગુજરાત, ગ્રીન ગુજરાત બનાવવાના સંકલ્પ ને સાકાર કરવા માટે વન વિભાગ દ્વારા રાજયમાં 10 કરોડથી વધુ રોપાઓનું વિતરણ સામાજિક વનીકરણ અંતર્ગત કરવામાં આવ્યું છે. આજે રાજયમાં જંગલ વિસ્તાર સહિત રાજયમાં વૃક્ષોની સંખ્યામાં વઘારો થયો છે, તેવું કહી તેમણે લોકોમાં વૃક્ષારોપણ અંગે ખૂબ જ જાગૃત્તિ આવી છે, તેનો પણ આનંદ વ્યક્ત કર્યો હતો. વન રાજય મંત્રી રમણ પાટકરે જણાવ્યું હતું કે, રાજ્યના ગૌરવસમા એશિયાઈ સિંહ, ભારતીય વાઘ તથા દીપડા જેવા બિડાલકુળના વન્યપ્રાણીઓ માટે ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન પ્રાણીસંગ્રહાલયમાં રાજ્યના વનવિભાગના સહયોગથી તાજેતરમાં વન્યજીવોના અદ્યતન આવાસોનું નવનિર્માણ કરવામાં આવ્યુ છે. આવાસોમાં મુલાકાતીઓ વન્યજીવોને કુદરતી અવસ્થામાં નિહાળી શકશે. જેનો લાભ ઉદ્યાનની મુલાકાતે આવનાર દેશ-વિદેશના પર્યટકો તથા ગાંધીનગરની પ્રકૃતિપ્રેમી જનતાને થશે.
વન અને પર્યાવરણ વિભાગ હેઠળના ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ પ્રાણીસંગ્રહાલયમાં સસ્તન, સરિસૃપ અને વિહંગ કુળના અલગ અલગ પ્રકારના વન્યપ્રાણીઓ-પક્ષીઓ રાખવામાં આવેલા છે. ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન તેના ડાયનાસોર અને ફોસીલ પાર્ક, અર્થ સેક્શનના કારણે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ ઉપરાંત આ ઉદ્યાનમાં વિવિધ પ્રકારના છોડ, ક્ષુપ, વેલા અને વનસ્પતિઓ ધરાવતો વૈજ્ઞાનિક પદ્ધતિએ તૈયાર કરવામાં આવેલો બોટનીકલ ગાર્ડન પણ છે. જેનું કેક્ટસ ગાર્ડન એક અનેરૂ આકર્ષણ ધરાવે છે. પ્રતિ વર્ષ છ લાખ જેટલા મુલાકાતીઓ ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાત લેતા હોય છે. તેમજ ગીર ફાઉન્ડેશન પારિસ્થિતિકીય શિક્ષણ અને સંશોધનના કાર્યક્ષેત્રમાં પણ કાર્યરત છે.