જામનગરના ઓશવાળ સેન્ટર ખાતે 108 દીકરીઓના સર્વજ્ઞાતિય ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયા  

એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટના આયોજનમાં ધર્માચાર્યો, રાજનેતાઓ, સમાજના શ્રેષ્ઠીઓ 108 નવયુગલોને પાઠવી શુભકામનાઓ

જામનગરના ઓશવાળ સેન્ટર ખાતે 108 દીકરીઓના સર્વજ્ઞાતિય ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયા  

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરના આંગણે આજે વિક્રમ સવંત 2078 ના વિજયા દશમી (દશેરા) નો પવિત્ર દિવસ એક અવિસ્મરણીય સામાજીક સેવાયજ્ઞ માટે સંભારણું બની રહેશે. શહેરના લબ્ધ પ્રતિષ્ઠિત લાલ પરિવારના પારિવારીક ટ્રસ્ટ હરીદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે આયોજીત કરાયેલા સમૂહ લગ્નોત્સ્વમાં 108 નવયુગલો પ્રભુતામાં પગલા પાડ્યા છે. જામનગર જીલ્લામાં કોઈ એક જ પારિવારીક સંસ્થા દ્વારા આયોજીત કરાયેલો આ પ્રકારનો સર્વપ્રથમ સમૂહ લગ્નોત્સવ છે. અશોકભાઈ લાલ અને જીતુભાઈ લાલ જણાવ્યું હતું કે, અમારા માતા મંજુલાબેન હરિદાસ (બાબુભાઈ) લાલના જન્મ દિવસના ઉપલક્ષ્યમાં અમારા ટ્રસ્ટ દ્વારા આજે સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવમાં 108 નવયુગલો લગ્નગ્રંથીથી જોડાયા છે.

તદઉપરાંત આગામી વર્ષથી અમારા માતા મંજુલાબેનની જેટલી ઉંમર થશે તેટલા સમૂહ લગ્નો પ્રતિ વર્ષ કરવામાં આવશે તેવી પણ આ તકે જાણકારી આપવામાં આવી હતી.શહેરના ઓશવાળ સેન્ટરની વિશાળ જગ્યા પર આજે દશેરાના દિવસે સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવમાં જોડાયેલી તમામ 108 દિકરીઓને કરીયાવરમાં મંગળસૂત્ર સહિતના આભુષણો, પાનેતર સહિત કપડાની જોડીઓ, ધર ઉપયોગી ચીજ વસ્તુઓ વિગેરે મળી કુલ 66 વસ્તુઓ આપવામાં આવી રહી છે. તેમજ દરેક વરરાજાને સફારી શુટનું કાપડ, કન્યાના સસરાને શાલ તેમજ સાસુને સાડી અને લુણગોરીને લેડીઝ પર્સ ખુશી ભેટરૂપે પણ આપવામાં આવ્યા છે.

આપણા સમાજમાં સામાજીક કુરિવાજોને તિલાંજલી આપવાના પ્રયાસરૂપે યોજાતી આવા સમૂહ લગ્નના કાર્યક્રમો સામાજીક સમરસતા માટે પણ અનોખો પ્રયાસ બની રહી છે. લાલ પરિવારના ટ્રસ્ટ દ્વારા આજે દશેરાના દિવસે જે 108 યુગલો લગ્નના પવિત્ર બંધનથી બંધાયા તેમાં જામનગર શહેરના 74, જામનગર તાલુકાના 10, જામનગર જીલ્લાનો અન્ય તાલુકાઓના 12  તેમજ દેવભૂમિ દ્વારકા જીલ્લાના 12  યુગલોનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ' બેટી બચાવો, બેટી પઢાઓ ” ના આપેલા સૂત્રના પગલે ચાલી રહેલા અભિયાનને વધુ વેગ મળે તે માટે પણ આયોજકોએ એક સુંદર પ્રયાસ આ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવના માધ્યમથી કર્યો છે. આ સમૂહ લગ્નમાં જોડાયેલા 108 નવયુગલો પૈકી જેટલા યુગલોને પ્રથમ સંતાન સ્વરૂપે દિકરી અવતરશે એ યુગલને રૂા.પાંચ હજારની સહાય પણ લાલ પરિવારના ટ્રસ્ટ દ્વારા આપવાની જાહેરાત કરવામાં આવી છે.

લગ્નોત્સવમાં જોડાયેલી દીકરીઓ પૈકી જેમને પણ નવવધુના શણગાર સજવા માટે બ્યુટીશીયનની જરૂરિયાત તેમજ જે વ૨૫ક્ષને જાનના ઉતારા માટે જગ્યાની જરૂરીયાત હતી તે વ્યવસ્થા પણ આયોજકોએ પુરી પાડી છે. આ રીતે બન્ને પક્ષની જરૂરીયાતો ચીવટ સાથે પુરી કરવા પ્રયાસ કરવામાં આવ્યા છે. આ લગ્ન સમારંભમાં વરપક્ષ અને કન્યા પક્ષના 35/35 વ્યકિતઓ સહિત એક લગ્નના 70 વ્યક્તિઓના ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.હાલાર સર્વજ્ઞાતિય 108 સમૂહ લગ્નોત્સવમાં મંગલ પરિણયથી જોડાનારા નવયુગલોને આર્શિવાદ આપવા માટે ધર્માચાર્યો, રાજયના મંત્રીઓ, રાજકિય નેતાઓ તેમજ સ્થાનિક રાજકિય અગ્રણીઓ, ઉધોગપતિઓ, સામાજીક આગેવાનો અને શહેરના શ્રેષ્ઠીઓ, પ્રિન્ટ મીડીયા, ઈલેકટ્રોનીક મીડીયાના અગ્રણીઓ વિગેરે લગ્નવિધિ સંપન્ન થયે યોજાયેલા આર્શિવાદ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા

આ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવમાં જોડાયેલા નવયુગલોને સરકારની યોજનાઓનો લાભ મળી રહે તે માટેની વ્યવસ્થા તેમજ દરેકના લગ્નની નિયમોનુસારની નોંધણી કરાવવા માટેની વ્યવસ્થા પણ લાલ પરિવારના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.આ લગ્નોત્સવની તમામ વ્યવસ્થા જાળવવા માટે લગભગ 1500 જેટલા શુભેચ્છક મિત્રો, કાર્યકરો અને સ્વયંસેવકોની વિશાળ ટીમ જુદી-જુદી સમિતિઓના માધ્યમથી અલગ અલગ વ્યવસ્થા માટે ટ્રસ્ટના અશોકભાઈ લાલ, જીતુભાઈ લાલ, મિતેશ લાલ, વિરાજ લાલ અને ક્રિશ્નરાજ લાલ સાથે ખડેપગે રહી હતી.