Mysamachar.in:જામનગર
જામનગરને પાણી પૂરું પાડતા જળાશયો પૈકીનો એક સ્ત્રોત આજી-3 ડેમ ખાલી કરવામાં આવશે. આ ડેમમાંથી પાણીનો જથ્થો જામનગર લાવવા માટેની વ્યવસ્થા તાકીદે શરૂ કરવામાં આવી છે. આજી-3 ડેમમાં ઈન્ટેકવેલ બનાવવાનો તથા ડેમનાં દરવાજાનાં સમારકામનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્ચ-2023 સુધીમાં આ કામગીરી કરવાની હોય, રાજકોટ સિંચાઇ વિભાગ દ્વારા હાલ આ ડેમને ખાલી કરવાની પ્રોસેસ હાથ ધરવામાં આવી છે. આ માટે ડેમનાં કેચમેન્ટ વિસ્તારનું પાણી ડેમમાંથી જામનગર પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજનના ભાગરૂપે નવી પાઈપલાઈન પાથરવાની પ્રક્રિયા તાકીદે હાથ ધરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે. વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઈજનેર નરેશ એમ. પટેલ,નાયબ કાર્યપાલક ઈજનેર દર્શન સી. દાઉદ્રા દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી હતી, આ ડેમમાંથી હાલ જામનગરને દૈનિક ધોરણે 40 એમએલડી પાણી મળે છે. ડેમ ખાલી થતાં પાણીની આ આવક બંધ થશે. આથી આ ઘટ પૂર્ણ કરવા જામનગર મહાનગરપાલિકાએ નર્મદા વિભાગને જાણ કરી હતી કે, હાલમાં જામનગરને નર્મદામાંથી દૈનિક ધોરણે 20 એમએલડી પાણી આપવામાં આવે છે તે જથ્થો વધારીને દૈનિક 60 એમએલડી કરી આપવામાં આવે.
આ માંગણીના અનુસંધાને નર્મદા વિભાગે જામનગર મહાનગરપાલિકાને જણાવ્યું છે કે, નર્મદામાંથી જામનગરને દૈનિક 40 એમએલડી પાણી આપવામાં આવશે અને 20 એમએલડી પાણી જામનગર મહાનગરપાલિકાએ આજી-3 ડેમનાં કેચમેન્ટ વિસ્તારમાંથી લાવવાનું રહેશે. જેથી કરીને જામનગરમાં પાણી વિતરણ વ્યવસ્થામાં વિક્ષેપ ન સર્જાય. આ વ્યવસ્થા અનુસંધાને જામનગર મહાનગરપાલિકા આજી-3 ડેમનાં કેચમેન્ટ વિસ્તારમાંથી દૈનિક 20 એમએલડી પાણી મેળવવા નવી પાઈપલાઈન પાથરી રહી છે. આ નવી પાઈપલાઈન પાથરવાની પ્રક્રિયા પૂર્વે સર્વે પણ કરવામાં આવ્યો હતો. સર્વે બાદ હવે પાઈપલાઈન પાથરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, એમ જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા જણાવે છે.