Mysamachar.in-જામનગર:
રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલે આજે કાલાવડ એ.પી.એમ.સી ખાતે ચણાના ખરીદ કેન્દ્રની મુલાકાત લઈ ખરીદ કેન્દ્રની વ્યવસ્થાઓની સમીક્ષા કરી ઉપસ્થિત ખેડૂત ભાઈઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.આ મુલાકાત દરમિયાન મંત્રીએ માર્કેટિંગ યાર્ડ પર ટેકાના ભાવે ચણા આપવા આવતા લાભાર્થી ખેડૂત ખાતેદારો સાથે મુલાકાત કરી હતી તેમજ માર્કેટિંગ યાર્ડ ખાતે ચણાની ટેકાના ભાવે થતી ખરીદી નિહાળી ત્યાંના આગેવાનો અને કાર્યકરો સાથે સંવાદ સાધ્યો હતો.
મંત્રીએ આ તકે જણાવ્યું હતું કે મારી વિવિધ ગામોની મુલાકાત દરમિયાન ખેડૂતોએ સરકાર દ્વારા કરાતી ટેકાના ભાવે જણસની ખરીદી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો છે.સરકાર દ્વારા પૂરતા જથ્થાની ખરીદી, ખરીદી વેળાની સુચારૂ વ્યવસ્થા તેમજ પારદર્શક વહીવટને કારણે ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.ખેડૂત, ખેતી અને ગામડાના પ્રશ્નોને વાચા મળે અને ખેડૂત ભાઈઓને વધુમાં વધુ મદદરૂપ થઇ શકાય તેવા શુભ હેતુથી આજે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કાલાવડ માર્કેટિંગ યાર્ડ ખાતે અત્યાર સુધીમાં 3607 ખેડૂતો દ્વારા 1,54,620 ગુણી અને 7,731 મેટ્રિક ટન ચણાનું વેચાણ કરવામાં આવ્યું છે.આજ રોજ પણ મંત્રીની ઉપસ્થિતમાં 232 ખેડૂતો દ્વારા 481 મેટ્રિક ટન ચણાનું વેંચાણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મંડળીના પ્રમુખ મૌલિકભાઈ નથવાણી, ઋષિભાઈ નથવાણી,યાર્ડના ડાયરેક્ટર મનસુખભાઈ વાદી, જે.ડી.સી.બેંકના વાઇસ ચેરમેન રાજેશભાઇ વાદી, મુકુંદભાઈ સભાયા, સંજયભાઈ ડાંગરિયા, મામલતદાર મહેશભાઈ કતિરા, યાર્ડના ચેરમેન યુવરાજસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, પ્રતિપાલસિંહ જાડેજા, મોહિતભાઈ મહેતા, પી.ડી.જાડેજા, વલ્લભભાઈ વાગડિયા, નાનાજી ચોવટિયા, અભિષેક પટવા અને મુકેશ મહેતા તથા બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતાં.