Mysamachar.in:ગુજરાત
કોરોનાકાળે ગુજરાત તથા ભારતમાં ઘણું ભાંગી નાંખ્યું. ગુજરાતમાં કોરોનાને કારણે શિક્ષણને માઠી અસરો પહોંચી છે એમ, એક લેટેસ્ટ રિપોર્ટમાં જણાવાયું છે. શિક્ષણ અંગેનો આ રિપોર્ટ કહે છે : ગુજરાતમાં કોરોના પહેલાં 2018 માં કુલ વિદ્યાર્થીઓ પૈકી 12 ટકા વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓમાં પ્રવેશ લીધો હતો. 2022માં કુલ વિદ્યાર્થીઓ પૈકી માત્ર 8 ટકા વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. કોરોનાકાળ પછી લોકોની આવકમાં મોટો ઘટાડો થયો છે. જેથી વાલીઓ પોતાના સંતાનોને ખાનગી શાળાઓમાંથી ઉઠાડી સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે. આ રિપોર્ટ અનુસાર, 2018માં 14.8 ટકા વિદ્યાર્થીઓએ ખાનગી ટ્યુશન લીધાં હતાં. 2022 માં કુલ વિદ્યાર્થીઓ પૈકી માત્ર 9.6 ટકા વિદ્યાર્થીઓએ ખાનગી ટ્યુશન ક્લાસીસમાં જવાનું પસંદ કર્યું. કેમ કે તેઓનાં વાલીઓની આવકમાં ઘટાડો નોંધાયો છે. કોરોનાકાળ પછી બાળકોનું શિક્ષણ નબળું પણ થયું છે !
2018 માં ખાનગી શાળાઓનાં ધોરણ પાંચના 68.1 ટકા બાળકો ધોરણ બે નું પુસ્તક વાંચી સમજી શકતાં હતાં. 2022 માં ખાનગી શાળાઓનાં ધોરણ પાંચના માત્ર 39.6 ટકા બાળકો ધોરણ બે નું પુસ્તક વાંચી સમજી શકયા ! સરકારી શાળાઓનાં ધોરણ પાંચના બાળકો પૈકી 52 ટકા બાળકો 2018 માં ધોરણ બે નું પુસ્તક વાંચી સમજી શકતાં હતાં. 2022 માં સરકારી શાળાઓનાં ધોરણ પાંચના બાળકો પૈકી માત્ર 33 ટકા બાળકો ધોરણ બે નું પુસ્તક વાંચી સમજી શક્યા ! 2018 માં ખાનગી શાળાઓમાં ધોરણ પાંચના બાળકો પૈકી 34.2 ટકા બાળકો ભાગાકાર કરી શકતાં હતાં. 2022 માં આ ટકાવારી 17.1 થઈ ગઈ છે ! ઠોઠિયાઓની સંખ્યા વધી ! સરકારી શાળાઓના આંકડા પણ જાહેર થયાં છે. 2018 માં સરકારી શાળાઓનાં ધોરણ પાંચના બાળકો પૈકી 18.4 ટકા બાળકો ભાગાકાર કરી શકતાં હતાં. 2022 માં આ ટકાવારી ઘટીને 14.5 ટકા થઈ ગઈ છે !