Mysamachar.in-જામનગર
જામનગરમાં આવેલી બાલાચડી સૈનિક શાળામાં ટૂંક સમયમાં વિદ્યાર્થિનીઓની પ્રથમ બેચ જોડાશે. સંરક્ષણ મંત્રાલયે 2021-22ના સત્રથી વિદ્યાર્થિનીઓ માટે પણ સૈનિક શાળાઓના દ્વાર ખોલવાનો નિર્ણય લીધા પછી વિદ્યાર્થિનીઓની આ બેચ જોડાઇ રહી છે. વિદ્યાર્થિનીઓને પ્રારંભિક તબક્કે આગામી શૈક્ષણિક સત્રમાં ધોરણ 6 માં પ્રવેશ આપવામાં આવશે. સૈનિક શાળાઓમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA) દ્વારા 07 ફેબ્રુઆરી 2021ના રોજ પ્રથમ વખત અખિલ ભારતીય સૈનિક શાળા પ્રવેશ પરીક્ષા 2021નું આયોજન કરવામાં આવ્યું હતું. લેખિત પરીક્ષાના પરિણામો NTA દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા અને https://aissee.nta.nic.in વેબસાઇટ પર મુકવામાં આવ્યા હતા.
શાળાના આચાર્ય ગ્રૂપ કેપ્ટન રવિન્દરસિંહે જણાવ્યું હતું કે, વિદ્યાર્થિનીઓની પ્રથમ બેચને આવકારવા માટે શાળા દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. ખાસ વિદ્યાર્થિનીઓ માટે શાળામાં એક અલગ છાત્રાલય રાખવામાં આવી છે અને તેમના માટે અન્ય જરૂરી સગવડો પણ ઉભી કરવામાં આવી રહી છે. વિદ્યાર્થિનીઓને અહીંયા શિક્ષણની સાથે સાથે, છોકરાઓની જેમ તાલીમ પણ આપવામાં આવશે અને તેમને સશસ્ત્ર દળોમાં સંરક્ષણ અધિકારી તરીકે જોડાવા માટે તૈયાર કરવામાં આવશે.