Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લામાં નોવેલ કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમા રાખવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલ પગલાંઓ, કામગીરીનું સુપરવિઝન, અસરકારક અમલીકરણ અને જિલ્લા વહીવટી તંત્રને આવશ્યક માર્ગદર્શન પૂરૂ પાડવા માટે રાજ્યના પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશ જામનગરમાં આવ્યા છે. જ્યાં તેમણે ગઇકાલે કલેકટર કચેરી ખાતે આરોગ્યતંત્ર અને વહીવટીતંત્ર સાથે બેઠક યોજી હતી.
આજરોજ સચિવએ જામનગરમાં કોવિડ માટે કાર્યરત કોવિડ હોસ્પિટલ, કોવિડ કેર સેંટરની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન સચિવએ કોવિડ કેર સેંટર અને હોસ્પિટલમાં રહેલ દર્દી નારાયણને મળી સાજા થઇ પૂર્વવત નિરોગી જીવન જીવવા માટે આ લડાઇ લડવા હિંમત આપી હતી. આ સાથે જ સચિવ દ્વારા જો સંક્રમણમાં વધારો થાય તો અગમચેતીરૂપે કરવામાં આવનાર વ્યવસ્થાઓની તૈયારીઓની પણ વિવિધ સ્થળોએ તપાસ કરી વહીવટી તંત્ર સાથે ચર્ચા કરી હતી.આ મુલાકાતમાં કલેકટર રવિશંકર, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, મ્યુનિ.કમિશનર સતિષ પટેલ, વગેરે પણ જોડાયા હતા.