Mysamachar.in-જામનગર
જામનગરમાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે જામનગર જિલ્લામાં નોવેલ કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલ પગલાઓ, કામગીરીનું સુપરવિઝન, અસરકારક અમલીકરણ અને જિલ્લા વહીવટી તંત્રને આવશ્યક માર્ગદર્શન પૂરૂ પાડવા માટે રાજ્યના પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશ જામનગરમાં આવ્યા છે. જ્યાં તેમણે કલેકટર કચેરી ખાતે આરોગ્યતંત્ર અને વહીવટીતંત્ર સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં અધિક મુખ્ય સચિવએ જામનગરમાં કોવિડ-19ની હાલની સ્થિતિની સંપૂર્ણ માહિતી મેળવી આવશ્યક સૂચનો કર્યા હતા.
જેમાં અધિક મુખ્ય સચિવએ જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના પોઝીટીવ આવેલ દર્દીઓની વિસ્તાર અને વોર્ડ તેમજ ઝોન વાઇઝ માહીતી મેળવી હતી તેમજ સી.સી.ટી.વી. દ્વારા કોવિડ હોસ્પિટલમાં દાખલ ગંભીર દર્દીઓની લાઇવ મુવમેન્ટ નિહાળી સ્થિતિની જાણકારી મેળવી હતી. આ સાથે જ જામનગરમાં હાલમાં સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થતા આગોતરી તૈયારીના ભાગરૂપે આવશ્યક દવાઓ, સાધનો,સ્ટાફ વગેરે બાબતે ચર્ચા કરી હતી. આમ, સારવાર, સંક્રમણ અટકાયતી દરેક પરિમાણની ચર્ચા કરી જામનગરમાં સંક્રમણ વધે નહીં અને સારવારને પણ વધુ સારી રીતે આગળ વધારી શકાય તે અંગે સમગ્રતયા સમીક્ષા કરવામાં આવી હતી.
આ તકે અધિક મુખ્ય સચિવએ જણાવ્યું હતું કે,જામનગરમાં હાલ સુધીમાં 450 જેટલા કેસ નોંધાયેલા છે ત્યારે સંક્રમણને વધુ અટકાવવા અને સાથે જ જો આ સંક્રમણ વધે તો આગોતરી તૈયારીઓના ભાગરૂપે જામનગરમાં લોકોને રિવર્સ આઇસોલેશન એટલે કે વૃદ્ધો-બાળકો કે અન્ય ગંભીર રોગ ધરાવતા જેવા કે ડાયાબિટિસ, બી.પી વગેરેના દર્દીઓ જે આ રોગમાં વધુ ભોગ બને છે તેવા લોકોને અલગ ઘરમાં રહેવા જવું, જ્યાં પોતે કવોરેન્ટાઇન રહી સુરક્ષિત રહેવા અપીલ કરી હતી. વળી જામનગર જિલ્લામાં ધનવંતરી રથ દ્વારા દરેક વિસ્તારોમાં આરોગ્ય સર્વેલન્સ અને આરોગ્યની અન્ય સુવિધાઓ આપવામાં આવી રહી છે લોકો તેનો લાભ લે. આ ઉપરાંત લોકોને 104 હેલ્પ લાઇન પર ફોન કરી ઘરબેઠાં સારવાર મેળવી શકાશે તેમ અધિક મુખ્ય સચિવએ ઉમેર્યુ હતું.
જિલ્લા સમાહર્તા રવિશંકરે કહ્યું હતું કે, જામનગર જિલ્લામાં હાલ કુલ 28 જેટલા ધનવંતરી રથ લોકસુખાકારી આરોગ્યની સુવિધા હેતુ કાર્યરત છે ત્યારે જામનગર જિલ્લાના તમામ નાગરિકો પોતાના વિસ્તારમાં આવતા ધનવંતરી રથનો લાભ લઇ નિરોગી રહેવા આગળા આવે. સાથે જ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી સર્વેમાં ભાગ લઇ પોતાની સ્થિતિ વિશેની જાણકારી તેમાં અપલોડ કરે જેથી કોવિડની આ સ્થિતિમાં તંત્ર લોકોને વધુ મદદરૂપ બની શકે. આ એપ થકી લોકો પોતાના વિસ્તારમાં કે પોતે કોઇ અન્ય વિસ્તારમાં જતા પહેલા અગાઉ જ આસપાસના પોઝીટીવ કે શંકાસ્પદ દર્દી વિશે જાણી સંક્રમણથી બચી શકશે. આ માટે એપ ડાઉનલોડ કરી ઇંટરનેટ અને બ્લુટુથને ચાલુ રાખવા જિલ્લા સમાહર્તાશ્રીએ લોકોને અનુરોધ કર્યો હતો.
મ્યુનિ.કમિશનરસતીષ પટેલે લોકોને અનુરોધ કર્યો છે કે વર્ષાઋતુમાં ગત વર્ષ જામનગરમાં ડેન્ગ્યુના કેસ મોટા પ્રમાણમાં જોવા મળ્યા હતા તે આ વર્ષ અટકાવી શકાય તે માટે સામાન્ય રીતે ઉનાળામાં લોકો પક્ષીઓ માટે પાણી રાખવા પક્ષી કુંજ રાખતા હોય છે પરંતુ તેની અંદરનું પાણી વાસી થતાં તેમાં મચ્છરના પોરા બને છે અને તેનાથી ડેન્ગ્યુના મચ્છર ઉત્પન્ન થાય છે. આ માટે હાલમાં લોકો આ પક્ષી કુંજને સાફ કરી રાખી દે અથવા તો તેમાં રોજ સ્વચ્છ પાણી ભરે, અગાસી પર રાખેલ પાત્રો, ટાયર વગેરેમાં પાણીના ભરાવાને અટકાવે અને આવી જ અન્ય તકેદારીઓ થકી ડેન્ગ્યુને અટકાવવામાં પોતાનો અનન્ય સહયોગ આપે.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયા, એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન નંદિની દેસાઈ, જી.જી.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ દિપક તિવારી, જિલ્લા આરોગ્ય અધિકારી બથવાર વગેરે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.