Mysamachar.in-જામનગર
જામનગર 78-ઉત્તર વિધાનસભા વિસ્તારના ઉમેદવાર રિવાબા જાડેજા, તેમજ 79-વિધાનસભા વિસ્તારના ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરીના પ્રચાર અર્થે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય સ્ટાર પ્રચારકો પૈકીના ઉત્તર પ્રદેશના પૂર્વ નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા, ઉપરાંત રાજસ્થાનના સાંસદ નરેન્દ્રસિંહ, અને મધ્યપ્રદેશના મંત્રી ઓમ પ્રકાશ સાખલેચા, કે જેઓ ગઈકાલે જામનગરના મહેમાન બન્યા હતા, અને ઓશવાળ સેન્ટરમાં યોજાયેલી જંગી જાહેરસભાને સંબોધન કર્યું હતું, અને ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટેનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સપનું સાકાર કરવા માટે જામનગરની બંને બેઠકના ઉમેદવારો રિવાબા જાડેજા તથા દિવ્યેશભાઈ અકબરીને જંગી બહુમતીથી ચુંટી કાઢવા માટેની હાકલ કરી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરાઇ છે, જે પૈકીના સ્ટાર પ્રચારક એવા ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિનેશ શર્મા, ઉપરાંત રાજસ્થાનના ભાજપના સાંસદ નરેન્દ્રસિંહ અને મધ્યપ્રદેશની ભાજપની સરકારના મંત્રી ઓમપ્રકાશ સાખલેચા, કે જેઓનો જામનગર જિલ્લાનો ચૂંટણી પ્રવાસ કાર્યક્રમ યોજાયો હતો, અને તેઓ ગઈકાલે જામનગરના મહેમાન બન્યા હતા.
જેમણે ભારતીય જનતા પાર્ટીના 78-ઉત્તર વિધાનસભા વિસ્તારના ઉમેદવાર રિવાબા જાડેજા, તેમજ 79-વિધાનસભા વિસ્તારના ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરીના પ્રચાર અર્થે ઓશવાળ સેન્ટરમાં ગઈકાલે સાંજે યોજાયેલી જંગી જાહેર સભાને સંબોધી હતી, અને બન્ને ઉમેદવારોને વિજયી બનાવવા માટેનો સહુ કાર્યકારોમાં હુંકાર ભર્યો હતો. આ જાહેર સભાના કાર્યક્રમમાં જામનગર શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મેયર બીનાબેન કોઠારી, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, 78-વિધાનસભા વિસ્તારના ચૂંટણી ઇન્ચાર્જ નીલેશભાઈ ઉદાણી, અને 79- વિધાનસભા વિસ્તારના ચૂંટણી ઇન્ચાર્જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, પૂર્વ અધ્યક્ષ હસમુખ ભાઈ હિડોચા, શહેર ભાજપ અગ્રણી જીતુભાઈ લાલ, પવનહંસના ડાયરેક્ટર પૂર્વ મેયર અમીબેન પરીખ, પૂર્વ મેયર પ્રતિભાબેન કનખરા, શાશક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, શિક્ષણ સમિતિ ચેરમેન મનીષભાઈ કનખરા, દક્ષિણ વિધાનસભા વિસ્તારના પ્રભારી ચંદ્રેશભાઇ હેરમાં, ઉપરાંત સુશીલકુમાર મિશ્રા, રાકેશ શર્મા, રીટાબેન શાસ્ત્રી, પૂર્વ શહેર પ્રમુખ અશોકભાઈ નંદા, 79- વિધાનસભાના ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરી, અને 78-વિધાનસભા વિસ્તારના ઉમેદવાર રીવાબા જાડેજા અને દેવપ્રસાદ ત્રિપાઠી મંચાસિન થયા હતા.
સૌ પ્રથમ ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડૉ. વિમલભાઈ કગથરાએ સૌનું સ્વાગત કર્યું હતું, અને ભારતીય જનતા પાર્ટીના તમામ કેન્દ્રીય સ્ટાર પ્રચારકોને આવકારવામાં આવ્યા હતા. જામનગરના ઓશવાળ સેન્ટરમાં બંને ઉમેદવારોના પ્રચાર અર્થે યોજાયેલી જંગી જાહેર ભગવાનને સંબોધતા દેવપ્રસાદ ત્રિપાઠીએ જણાવ્યું હતું, કે 1947 ની આઝાદી વખતે ગુજરાતનુ યોગદાન રહ્યું છે. આ ગાંધી સરદારનું ગુજરાત છે, આઝાદીનુ આંદોલન એટલું તેજ થયું, કે આખરે આઝાદી મળી. હવે દેશ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે, ત્યારે તેમાટે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું યોગદાન છે. આ ગુજરાતની ચૂંટણી નથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચુંટણી છે. ભારતનો વિકાસ કરવો હોય તો મોદીજીને મજબૂત કરવા જોઈશે. આ ચૂંટણી એ મહાપર્વ છે. ત્યારે 1947 માં ભારતને આઝાદી અપાવવામાં ગુજરાતનો ફાળો છે. તેમ ભારતને વિશ્વગુરુ બનાવવાના અભિયાનમાં મોદીજીને સાથ આપવા માટે તમારું યોગદાન આપો. પહેલી તારીખે મતદાન કરો બધા મત આપશે ત્યારે નરેન્દ્રભાઈ મોદીની લહેર ચાલશે. માટે ‘પહેલાં મતદાન પછી જલપાન’ નો નારો આપ્યો હતો.
ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી અને 78-વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ મંચ પરથી ભારતીય જનતા પાર્ટીના 78-વિધાનસભા તેમજ 79-વિધાનસભા વિસ્તારના બન્ને ઉમેદવારોને શુભેચ્છા આપી, અને બન્ને જંગી બહુમતીથી જીતશે, એવો વિશ્વાસ અપાવ્યો હતો.રાજસ્થાનથી પધારેલા સાંસદ નરેન્દ્રસિંહજીએ પોતાની આગવી છટા સાથે ઉદબોધન કરીને ગત ચૂંટણી કરતાં વધુ બહુમતીથી બન્ને ઉમેદવારો જીતે તેવો પ્રયત્ન કરવા અનુરોધ કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુનિયામાં સૌથી વધુ લોકપ્રિય, ઈમાનદાર વ્યક્તિ છે. આખું વિશ્વ જેને માને છે. તેમને આપણે સાથ દેવો જ જોઈએ.ગુજરાતની ચૂંટણી પર પૂરાં વિશ્ર્વની નજર છે, ત્યારે મોદીજીના સપના પૂરા કરવા ગુજરાતની જીત અત્યંત જરૂરી છે.મધ્યપ્રદેશની ભાજપ સરકારના મંત્રી ઓમપ્રકાશ સાખલેચાએ જણાવ્યું હતું કે આ ચૂંટણી મહત્વપૂર્ણ છે. આ દેશની રાજનીતિ નક્કી કરવા વાળી ચૂંટણી છે. જનસંઘની સ્થાપના થઇ ત્યારથી અંત્યોદય અભિયાન ચાલે છે. આ અભિયાન પૂર્ણ કરતાં કરતાં મોદીજીએ આત્મનિર્ભર બનવા સુધીની યાત્રા કરી છે.
ભારતની વિકાસની યાત્રાનું શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની ગતિ રોકાય નહીં, એ જોવાનું કામ આપણું છે. આત્મનિર્ભર ભારતમાં માત્ર વ્યક્તિ વિકાસ કે ઉદ્યોગ વિકાસ જ નહીં, શિક્ષણ વિકાસ, સાંસ્કૃતિક વિકાસ પણ સમાયેલો છે.
-જામનગર ઉત્તર 78-વિધાનસભા વિસ્તારના ઉમેદવાર રિવાબા જાડેજાએ પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે 2018 મા પ્રથમ વખત મોદીજીને મળી ત્યારે તેમણે માર્ગદર્શન આપ્યું, અને ભાજપમાં જોડાવા કહ્યું હતું. 2019 મા ભાજપમાં જોડાયા પછી ‘સબકા સાથ સબકા વિકાસ’ અને છેવાડાના માનવી સુધી પહોંચવાની વિચારધારા ને ધ્યાનમાં રાખીને લગભગ 200 જેટલા ગામમાં સ્ત્રી સશક્તિકરણ અંતર્ગત કાર્ય કર્યા છે, અને કેન્દ્રની યોજનાઓ લોકોને સમજાવી છે. લોકસંપર્કમાં લોકોના પ્રેમ અને લાગણી જોઈ હું ગદગદ થઈ ગઈ છું.જામનગરના મતદારો અમને સાથ આપો, અને જીતાડો, અમે વચન આપીએ છીએ કે જામનગર ને સ્માર્ટ સીટી બનાવીશુ.
-જામનગર 79-દક્ષિણ વિધાનસભા વિસ્તારના ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરીએ પોતાની આગવી શૈલીમાં પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું, કે જામનગરમાં ત્રિપલ એન્જિનની સરકાર છે. જામનગરમાં વિકાસના કાર્યો ઘણા થયા છે. અને હજુ પણ કરવાના છે. જામનગરમાં ગમે ત્યારે મને ‘હાકલ કરો, અને હાજર’ એ કમિટમેન્ટ જામનગરની જનતાને આપૂ છું.
જામનગરના બંને ઉમેદવારો માટે યોજાયેલી જાહેર સભાના મુખ્ય અતિથિ એવા ઉત્તર પ્રદેશના પૂર્વ નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા, કે જેમણે રિવાબા જાડેજાને સુષ્મા સ્વરાજ સાથે સરખાવ્યા હતા, અને એક બોલમાં કોંગ્રેસ અને આપ બન્નેને કલિન બોલ્ડ કરી નાખશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બીજા ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરીને એક કર્મનિષ્ઠ વ્યક્તિ કહ્યા હતા.
ગુજરાત એ અલગ પ્રકારની ધરતી છે, મને ગુજરાત પ્રત્યે વિશેષ લગાવ છે. આ ચૂંટણીમાં જામનગર જિલ્લાની પાંચ અને દેવભૂમિ દ્વારકા ની બે સહિત સાતે સાત સીટ જીતાડવાની છે. માત્ર મોદીજીના નામ પર, તેમના કામ પર સાતેય બેઠકો જીતી શકાશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં મોદીની આંધી, તૂફાન ચાલે છે, તેમાં બધા પક્ષો નો સફાયો થઈ જશે. વધુ પડતા વિશ્ર્વાસ માં ન રહેતા, ભાજપના તમામ ઉમેદવારોને જીતાડવાનો પ્રયત્ન કરવો જ જોઈએ, એમ પણ કહ્યું. ભારતમાં 2024 માં નરેન્દ્રભાઈ મોદીને જીતાડવા હોય તો આ ચૂંટણી જીતવી જરુરી જ છે. સરદાર પટેલ પછી ભારતનું ગૌરવ વધારનાર કોઈ હોય તો તે વડાપ્રધાન મોદી જ છે.
ગુજરાત માં જુના સમય જેવી પાણીની સમસ્યાનો, રોડ રસ્તાની સમસ્યા, ગુંડા તત્વો દ્વારા તોફાન થતા નથી, અને હાલ શાંતિ છે, અને સુરક્ષિત છે. આપણે જ્ઞાતિ જાતીનો વિવાદ કર્યા વગર ભારતીયો છીએ એ યાદ રાખીને મોદીજીને સમર્થન કરવાનું છે.ઉત્તરાખંડમાં જે રીતે અન્ય પક્ષોની ડિપોઝીટ પણ જપ્ત થઈ જશે, એવું ગુજરાત માં પણ થવું જોઈએ, સૌથી મોટી જીત માટેની તૈયારી કરો.આ માત્ર ચૂંટણી નથી, આ લોકશાહીનો યજ્ઞ છે. જેમાં સૌ કોઈ સાથે આપજો તેવી અપીલ કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભારતીય જનતા પાર્ટીના શહેર મહામંત્રી અને વિધાનસભાની બંને બેઠકોની ચૂંટણીના મુખ્ય વ્યવસ્થાપક એવા મેરામણભાઇ ભાટુએ કર્યું હતું.