Mysamachar.in-જામનગર:
જામનગર શહેર અને જીલ્લામાં તસ્કરોનો તરખાટ છેલ્લા કેટલાક સમયથી દિનપ્રતિદિન વધી રહ્યો છે, અને તસ્કરો જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, તાજેતરમાં પાંચ સ્થળોએ ચોરીના બનાવ બન્યા બાદ વધુ બે સ્થળને નિશાન બનાવવામાં તસ્કરો સફળ રહ્યા છે, જામનગરના પંચવટી ગૌશાળા નજીક રહેણાક મકાનમાં ત્રાટકેલા તસ્કરો રોકડ, સોનુ-ચાંદી અને ઇમીટેશન જવેલરી મળી દોઢ લાખનો મુદામાલ ચોરી કરી ગયાની ફરિયાદ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
જામનગરના પંચવટી ગૌશાળા બોર્ડિંગ સામેની શેરીમાં 128-અ, આવકાર ખાતે રહેતા નિવૃત બેંક કર્મચારી હરેશકુમાર ગુણવંતરાય ત્રિવેદીના બંધ રહેણાંક મકાનમાં ગત તા. 4-11-2022 થી 10-11-2022ના કોઇપણ સમય દરમ્યાન અજાણ્યા શખ્સો ત્રાટકયા હતા, મકાનની -અંદરના મેઇન દરવાજાના તાળા, નકુચા તોડી ગેરકાયદે રૂમમાં પ્રવેશ કર્યો હતો. અજાણ્યા શખ્સો રૂમના કબાટ અને ખાનાનું લોક તોડીને અંદરથી 15 ગ્રામ, 60 હજારની કિંમતનું સોનુ, 1050 ગ્રામ ચાંદી, 63400ની રોકડ તથા ઇમીટેશન જવેલરી મળી અંદાજે દોઢ લાખનો મુદામાલ ચોરી કરી ગયા હતા, રૂમની અંદર રહેલા સાતથી આઠ જેટલા કબાટના લોક તોડી અંદરના તમામ ખાના પણ તોડી નાખ્યા હતા અને સામાન વેરવિખેર કરી નાખ્યો હતો, ગઇકાલે આ અંગેની જાણ થતા મકાન માલિક બહારગામથી પરત ફર્યા અને પોલીસને જાણ કરાતા ટુકડી સ્થળ પર દોડી ગઇ હતી. દરમ્યાનમાં હરેશકુમાર ત્રિવેદી દ્વારા સીટી-બી ડીવીઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.