Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
કલ્યાણપુર તાલુકાના ધતુરીયા ગામે રહેતા હિરીબેન નાથાભાઈ ડુવા નામના 50 વર્ષના મહિલાએ ગત તારીખ 7 ના રોજ પોતાના ઘરે પોતાના રૂમમાં સીલીંગ ફેનમાં ચુંદડી વડે ગળાફાસો ખાઈ લઈએ અને જિંદગી ટૂંકાવી લીધી હતી. આ બનાવ સંદર્ભે મૃતક મહિલાના પતિએ હીરીબેનને મંદિરે દર્શન જવાની ના કહેતા તેણીએ આ પગલું ભર્યું હોવાની જાણ કલ્યાણપુર પોલીસ મથકમાં જે-તે સમયે કરવામાં આવી હતી.આ પ્રકરણ સંદર્ભે મૃતક મહિલાના મોટાભાઈ ભાણવડ તાલુકાના મેવાસા ગામે રહેતા જેતાભાઈ અરજણભાઈ કાંબરીયાએ પોતાના બહેનના પતિ નાથાભાઈ પાલાભાઈ ડુવા, અરવિંદભાઈ નાથાભાઈ ડુવા, પ્રવીણભાઈ નાથાભાઈ ડુવા તથા રાજીબેન અરવિંદભાઈ ડુવા સામે કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ફરિયાદીના બનેવી નથાભાઈને પોતાના પત્ની હિરીબેન પસંદ ના હોય, તેઓ ઘરમાં નાની-નાની વાતે અવારનવાર ઝઘડો કરતા હતા. અને હિરીબેનને કોઈ માન-પાન આપતા ન હતા. આ ઉપરાંત તેના અન્ય સાસરિયાઓ પણ વિવિધ રીતે ત્રાસ ગુજારી, હિરીબેનને હેરાન-પરેશાન કરતા હતા. સાસરીયાઓના શારિરીક તથા માનસિક ત્રાસથી તેણી આખરે મરી જવા મજબુર બનતા તેણીએ કંટાળીને તારીખ 7 ના રોજ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું વધુમાં જાહેર થયું છે.આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે આઈ.પી.સી. કલમ 306, 323, 498(એ) તથા 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરુ કરાઈ છે.