Mysamachar.in-જામનગર
સાઈબરક્રાઈમની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે, કોઈ ને કોઈ પ્રકારે ગઠિયાઓ ક્યાય દુર બેઠા-બેઠા લોકોના ઓટીપી મેળવી કે પછી વિશ્વાસમાં કેળવીને જે-તે વ્યક્તિઓના બેંકખાતાઓ સાફ કરી નાખવાના અનેક કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાયેલ છે, ત્યારે હાલમાં કોરોનાની મહામારી વચ્ચે જામનગર સાઈબરસેલ ટીમે લોકો સાવચેત રહે અને છેતરપીંડીનો ભોગ બનતા અટકે તે માટે કેટલાક સૂચનો જારી કર્યા છે. કોરોના વાયરસની મહામારી વચ્ચે અમુક ચોક્કસ તત્વો દ્વારા લોકોને ફોન કરીને કે SMS કરી તેના મારફત લોભામણી જાહેરાત દર્શાવી લોકોને ગુમરાહ કર્યા બાદ તેના બેંક ખાતાઓમાંથી તમામ રકમ ઉપાડી લઈ ચીટીંગ કરતા હોવાની બાબતો પ્રકાશમાં આવવા પામી છે, તેમજ આવી ગેંગના સભ્યો લોકો પાસેથી તેમના બેન્ક એકાઉન્ટ નંબર, atm કાર્ડ નંબર, ફોન પે નંબર, પેટીએમ યુપીઆઈ પીન નંબર સહિતની ગુપ્ત માહિતી મેળવી સાઇબર ક્રાઇમ કરતા હોવાની બાબતો પણ સામે આવી છે
વર્તમાન પરિસ્થિતિમાં લોકો ઘરમાં રહીને સમય પસાર કરી રહ્યા છે ત્યારે અમુક ગઠિયાઓ આ તકનો લાભ ઉઠાવી લોકોને ગુમરાહ કરવાની સાથે મસમોટી લોભામણી બાબતો જેમ કે “તમારું નામ સરકારી રાહતફંડમાં પસંદ થયેલ છે” વર્ણવી લોકોને ઘર બેઠા રૂપિયા મળી જાય તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હોવાનું જણાવી તેમની મેલીમુરાદ પૂર્ણ કરતા હોવાથી જામનગર સાઈબર ક્રાઈમ સેલ દ્વારા આવી ગેંગના સભ્યો દ્વારા લોકોને મોબાઈલ પર ફોન આવે કે એસએમએસ આવે તો કોઈ પ્રકારની લોભામણી બાબતોમાં નહીં ફસાઈ તેમનો હિંમતભેર સામનો કરી આવા લોકોને બેંકની એક પણ ગુપ્ત માહિતી નહીં આપવાની તાકીદ કરી છે, સાથો-સાથ જો કોઈ વ્યક્તિ ફોન પર સહાય સહિતની બાબતોને લઈને હેરાન પરેશાન કરતો હોય તો તે અંગેની ફરિયાદ સાઇબર ક્રાઇમ સેલમાં રૂબરૂ અથવા ફોન નંબર 94267 05100 નોંધાવવા અપીલ કરી છે.