Mysamachar.in-જામનગર
છેલ્લા કેટલાય દિવસોથી લોકડાઉન શબ્દ સાંભળતા જ લોકો ક્યારે આ કાળ પૂર્ણ થશે તેની રાહ જોતા હતા, ખાસ કરીને વેપારીઓ અને અન્ય નાના વર્ગ માટે ખુબ મુશ્કેલીના દૌર વચ્ચે આજથી અનલોક તબક્કાનો પ્રારંભ થયો છે, અને ઓડ ઇવન સહિતની તમામ પદ્ધતિઓ નાબુદ કરીને ધંધા રોજગાર સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લા રાખવાના આદેશ સરકાર દ્વારા આપવામાં આવ્યા બાદ સ્થાનિક પ્રશાસન દ્વારા પણ ગઈકાલે આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેને કારણે આજથી ખરેખર પહેલાની જેમ જ બજારો ધમધમવા લાગી છે, આ છૂટ દરમિયાન રાત્રિના 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફયુ યથાવત રહેશે. જો કોઇ નાગરિક કોરોના વાયરસ પોઝીટીવ વિસ્તારમાંથી આવ્યો હશે તો તેને સરકારી હોસ્પિટલ અથવા હેલ્પલાઇન નંબર 104 ઉપર ફરજિયાત પણે જાણ કરવાની રહેશે. તેમજ નિયમ મુજબ હોમ ક્વોરેન્ટાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
અનલોક-1ના અન્ય નિયમો અને ગાઇડલાઇન નીચે મુજબ છે.
1) તમામ સરકારી કે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજ, શાળા, ટયુશન કલાસીસ, રીસર્ચ, તાલિમ અને કોચિંગ વિગેરે સંસ્થાઓ બંધ રહેશે (વહિવટી કાર્યાલય ચાલુ રાખી શકાશે). ઓનલાઈન તેમજ ડિસ્ટન્સ લર્નીંગ ચાલુ રહી શકશે અને તેને પ્રોત્સાહન આપવાનું રહેશે.
2) તમામ જીમખાના બંધ રાખાવાના રહેશે.
3) સિંગલ સ્ક્રીન અને મલ્ટી સ્ક્રીન ધરાવતા સિનેમા હોલ્સ બંધ રાખવાના રહેશે.
4) તમામ સામાજીક/ રાજકીય/ રમત-ગમત/ મનોરંજન/ શૈક્ષણિક/ સાંસ્કૃતિક/ ધાર્મિક કાર્યક્રમો, થિયેટર પ્રોગ્રામ કે અન્ય મેળાવડાઓ/સંમેલનો તેમજ આ પ્રકારના તમામ સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેવા સ્થળો પર પ્રતિબંધ રહેશે.
5) બિન આવશ્યક પ્રવૃતિઓ માટે સાંજના ૨૧.૦૦ કલાકથી સવારના ૦૫.૦૦ વાગ્યા સુધી વ્યક્તિઓની અવર-જવર પર સંપુર્ણપણે પ્રતિબંધ (રાત્રી કર્ફયુ) રહેશે તેમજ તેનું કડકપણે પાલન કરવાનું રહેશે.
6) જાહેર બગીચા, પ્રાણી સંગ્રહાલય(ઝુ), વોટર પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક, આકર્યોલોજીકલ સાઈટ્સ, બીચ, સ્વિમીંગ પુલ (સ્નાનાગાર) તેમજ અન્ય પ્રવાસી સ્થળો ઉપર પ્રતિબંધ રહેશે.
7) ૬૫ વર્ષથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિઓ, ગંભીર બીમારી હોય તેવી વ્યક્તિઓ, સગર્ભા મહીલાઓ તેમજ ૧૦ વર્ષથી નીચેના બાળકોએ આવશ્યક જરૂરીયાતો તેમજ આરોગ્ય હેતુથી બહાર નીકળવું અત્યંત જરૂરી હોય તે સિવાય ઘરે જ રહેવાનું રહેશે.
કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં નીચે મુજબની પ્રવૃતિઓ નિર્ધારીત નિયંત્રણો સાથે કરી શકાશે.
1) તમામ હોટલ તથા કલ્બ સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર મુજબ તા.૦૮/૦૬/૨૦૨૦ થી શરૂ કરી શકાશે.
2) જિલ્લામાં આવેલ તમામ રેસ્ટોરન્ટ, હોટલમાં આવેલ રેસ્ટોરન્ટ તેમજ ભોજનાલયમાં સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર
મુજબ સામાજીક અંતર જાળવવાની શરતે તા.૦૮/૦૬/૨૦૨૦ થી શરૂ કરી શકાશે. સંચાલકોએ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ સેનીટાઈઝેશન તેમજ સાફ સફાઈની જરૂરી વ્યવસ્થા કરી પુરતી તકેદારી રાખવાની રહેશે.
3) તમામ મોલ્સ તેમજ મોલ્સમાં આવેલ દુકાનો સામાજીક અંતર જાળવવાની શરતે તા.૦૮/૦૬/૨૦૨૦ થી શરૂ કરી શકાશે.
4) તમામ છુટક દુકાનો શરૂ કરી શકાશે.
5) તમામ પ્રકારના ઉદ્યોગો તથા કારખાના ૧૦૦% કેપેસીટી સાથે સામાજીક અંતર જાળવવાની શરતે ચાલુ રાખી શકાશે.
6) તમામ ધાર્મિક સ્થળો સામાજીક અંતર જાળવવાની શરતે તા.૦૮/૦૬/૨૦૨૦ થી ખુલ્લા રાખી શકાશે. પરંતુ સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર મુજબ મોટી સંખ્યામાં લોકો એકઠા થાય તે પ્રકારના કોઈપણ પ્રકારના કાર્યક્રમો ઉપર પ્રતિબંધ રહેશે.
7) રમત-ગમત સંકુલ તેમજ સ્ટેડિયમ પ્રેક્ષકો વિના ખુલ્લા રાખી શકાશે તેમજ પ્રસારણ ઉપર કોઈ પ્રતિબંધ રહેશે નહી.
8) શહેરી વિસ્તારમાં સ્થાનિક સત્તામંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ સ્થળોએ ફેરીયાઓ તા.૦૮/૦૬/૨૦૨૦ થી વેચાણ કરી શકશે.
સ્થાનિક સત્તામંડળઓએ ફેરીયઓ/ સાપ્તાહિક બજાર માટે સ્થળો નિશ્ચિત કરવાના રહેશે તેમજ વિસ્તૃત સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર તૈયાર કરવાના રહેશે. કેન્દ્ર સરકાર/ગુજરાત સરકારશ્રીની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન થાય તે અંગેનું નિયંત્રણ રાખવાનું રહેશે.
9) ચા/ કોફી સ્ટોલ ખુલ્લા રાખી શકાશે.
10) કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં પાનની દુકાન ચાલુ રાખી શકાશે પરંતુ સોશ્યલ ડિસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તેમજ માત્ર Take away ની મંજુરી રહેશે.
11) દારૂની દુકાન ફકત પરમીટ ધારકો માટે ખુલ્લી રાખી શકશે
12) વાણંદની દુકાનો, હેર કટીંગ સલુન, બ્યુટી પાર્લર સામાજીક અંતરનું પાલન કરવાની શરતે ચાલુ રાખી શકાશે.
13) ૬૦% કેપેસીટી સાથે લાયબ્રેરી શરૂ કરી શકાશે.
14) ગુજરાત રાજય પરીવહનની બસો રાજય સરકારશ્રીની સુચના અનુસાર કાર્યરત રહેશે.
15) કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં ૬૦% કેપેસીટી સાથે સીટી બસ સર્વિસ શરૂ થઈ શકશે.
16) કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં ૬૦% બેઠક વ્યવસ્થા સાથે ખાનગી બસ સર્વિસ શરૂ થઈ શકશે. પરંતુ બસની અંદર કોઈપણ વ્યક્તિને ઉભા રાખી શકશે નહી.
17) ઓટો રીક્ષા એક ડ્રાઈવર તથા ૨ (બે) મુસાફર સાથે પરીવહન કરી શકશે.
18) કેબ્સ, ટેકસીસ, કેબ એગ્રીગ્રેટર્સ તેમજ ખાનગી કાર એક ડ્રાઈવર તથા ર (બે) મુસાફર સાથે પરીવહન કરી શકશે બેઠક ક્ષમતા ૬ (છ) કે તેથી વધુ હોય તેવા વાહનમાં એક ડ્રાઈવર તથા ૩ (ત્રણ) મુસાફર સાથે પરીવહન કરી શકશે.
19) ટુ-વ્હીલરમાં ૧ + ૧ વ્યક્તિ અવર-જવર કરી શકશે.
20) પ્રાઈવેટ ઓફીસો સામાજીક અંતર જાળવવાની શરતે કાર્યરત થઈ શકશે. તેમજ શકય હોય ત્યાં સુધી ઘરેથી કામ કરવાની પ્રથાને પ્રત્સાહન આપવાનું રહેશે.
21) બેંક તેમજ સરકારી કચેરીઓ કાર્યરત રહેશે.
22) તમામ પ્રકારની રીપેરીંગની દુકાનો, ગેરેજ, વર્કશોપ અને સર્વિસ સ્ટેશનો કન્ટેનમેન્ટ ઝોનની સિવાયના વિસ્તારમાં ચાલુ રાખી શકાશે.
ભરેલ માલવાહક અને ખાલી માલવાહક વાહનો રાજય અને આંતર રાજયમાં પરીવહન કરી શકશે. જાહેર સ્થળો/ કામના સ્થળો ઉપર લોકોએ માસ્ક પહેરવા/ ચહેરો ઢાકવાનો રહેશે. તેમજ જાહેર જગ્યા પર થુકવાનું રહેશે નહી જેના ભંગ બદલ રૂ.૨૦૦ નો દંડ જે તે સ્થાનિક સત્તા મંડળના અધિકારીએ વસુલવાનો રહેશે આ ઉપરાંત જે તે તાલુકાના ઈન્સીડન્ટ કમાન્ડરશ્રી દંડ વસુલવા માટે જરૂર જણાયે વધારાના અધિકારીઓને અધિકૃત કરી શકશે. જિલ્લામાં આવેલ મેડીકલ સ્ટોર્સ/ફાર્મસીને આ જાહેરનામાંમાં દર્શાવેલ સમયમર્યાદા લાગુ પડશે નહી.