Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં લોક ડાઉન -૨ ની અમલવારી શરૂ થઈ ગઈ છે, ત્યારે અનાજ કરિયાણા અને રાશનની દુકાન તેમજ અન્ય આવશ્યક ચીજ વસ્તુના વિક્રેતાઓ કે જે પોતાની દુકાને અથવા તો લારીઓમાં લોકોની ભીડ એકત્ર કરે છે, અને સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી. તેવા વેપારીઓ સામે જામનગર મહાનગર પાલિકાના તંત્રએ લાલ આંખ કરી છે. લોક ડાઉન-૨ ના સમયગાળા દરમિયાન ગઈકાલે પ્રથમ દિવસે ૨૨ વેપારીઓ સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી, આ કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવશે તેમ પણ જાણવા મળે છે,
જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતીશ પટેલ અને ડેપ્યુટી કમિશનર એ.કે વસ્તાણીની રાહબરી હેઠળ જામનગર શહેરના જૂના સેટઅપ મુજબ વોર્ડ પ્રમાણે ૩૨ એસ.એસ.આઈ. ની નિમણૂક કરવામાં આવી છે, અને જામનગર શહેરમાં લોક ડાઉન -૨ દરમિયાન સવારે છ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન જે દુકાનદારો અથવા તો શાકભાજી ની રેકડીના વિક્રેતાઓ પોતાના ધંધાના સ્થળે લોકોની ભીડ એકત્ર કરે છે અને લોક ડાઉનનો ભંગ કરી રહ્યા છે, તેવા વિક્રેતાઓને કડક ચેતવણી આપી છે. અને જરૂરી સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરવામાં આવી છે.
જામનગર શહેરમાં ગઈકાલથી લોક ડાઉન -૨ ની અમલવારી શરૂ થઈ છે ત્યારે જુદા જુદા વિક્રેતાઓને ત્યાં એક મીટરનું અંતર જાળવીને જ લોકો ખરીદવા માટે આવે તેવી વ્યવસ્થા ગોઠવવા જાણ કરવામાં આવી છે. અન્યથા જો કોઈ વેપારીઓ પોતાના ધંધાના સ્થળે ભીડ એકઠી કરશે તો તેની સામે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની અમલવારી ગઇકાલથી જ શરૂ કરી દેવામાં આવી છે.
૩૨ એસ એસ આઈ ની ટીમ હેઠળ ગઈકાલે ૨૨ વેપારીઓ દંડાયા હતા અને તેઓ પાસેથી ૨,૦૦ રૂપિયા લેખે રૂપિયા ૪,૪૦૦ નો દંડ વસૂલ કરી લેવામાં આવ્યો છે. ઉપરાંત આજે સવારે પણ તમામ વોર્ડમા છ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી આ કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે. લોક ડાઉનનો ભંગ કરનાર વેપારીઓ તેમજ ભીડમા એકત્ર થનાર લોકો પાસેથી પણ ૨૦૦ રૂપિયાના દંડની વસૂલાતની કાર્યવાહી હાથ ધરાશે. આ પ્રક્રિયા લોક ડાઉન -૨ ના સમયગાળા દરમિયાન પ્રતિદિન હાથ ધરવામાં આવશે, તેમ મ્યુનિ. કમિશનર સતિષ પટેલ દ્વારા જણાવાયું છે. જેથી લોકોએ ખરીદી કરવા માટે જરૂરી સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી છે.