Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાની કાલાવડ જીઆઇડીસી નું નિર્માણકાર્ય શરૂ થયું ત્યારથી જ જાણે થઇ રહેલા કામોની બાબતને લઈને પ્રશ્નોની ઝડીઓ ઉઠવાની શરૂ થઇ ચુકી હતી,કામ એવું તો કરવામાં આવ્યું હતું કે લોકાર્પણ થાય તે પૂર્વે જ કેટલીય જગ્યાઓએ તો પોપડા ખરી જવા,રોડ ઉખડી જવા સહિતની બાબતોને લઈને જામનગરના એક આરટીઆઈ એક્ટીવીસ્ટ દ્વારા મુખ્યમંત્રીને કાલાવડ જીઆઇડીસીની આકસ્મિક મુલાકાત લેવા પણ પત્ર પાઠવી ને આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું,
જે બાદ આરટીઆઈ એક્ટીવીસ્ટ દ્વારા કાલાવડ જીઆઇડીસીમા થયેલ કથિત ગોબાચારીની વધુ વિગતો લોકો સમક્ષ ઉજાગર થાય તે માટે જીઆઇડીસીમા માહિતી અધિકાર હેઠળ માહિતી માંગવામાં આવી હતી,જેમાંથી અધિકારીઓ પાસે માંગેલ માહિતીમાંથી મોટાભાગની માહિતીના જવાબો જ ના હોવાનું (અથવા આપવા ના હોય) તેવા પત્રવ્યવહારો અરજદારને કરી દેવામાં આવ્યા છે,જો ખરેખર કામમાં કાઈ જ ખોટું ના થયું હોય તો માહિતી સંપૂર્ણ અને સાચી આપવામાં શું વાંધો હોય શકે તેવો સવાલ પણ એક્ટીવીસ્ટ ઉઠાવી રહ્યા છે.
આશ્ચર્ય રીતે જે જવાબો અરજદારને નથી આપવામાં આવ્યા તેના પર જો એક નજર કરવામાં આવે તો..અરજદારે માહિતી અધિકાર તળે પૂછ્યું હતું કે..કાલાવડ જીઆઇડીસી ક્યારે મંજુર કરવામા આવી અને મંજુર થયા બાદ તેના નિર્માણ પાછળ કેટલો ખર્ચ કરાયો,કોઈ એ આ કામ પેટામા કામ કર્યું કે કેમ.?,ક્યાં અધિકારીના સુપરવિઝન હેઠળ આ કામ કરવામાં આવ્યું,અત્યાર સુધીમાં આ કામોને લઈને કોઈ ફરિયાદ કે રજૂઆત મળેલા છે,અને શું કાર્યવાહી કરવામા આવી.?
ઉપરોક્ત તમામ મહત્વના સવાલો ના જવાબ સામે જાહેર માહિતી અધિકારીએ સદર માહિતી જે સ્વરૂપે માંગેલ છે તે સ્વરૂપે અત્રેની કચેરીમાં ઉપલબ્ધ જણાતી નથી તેવા જવાબો આપી દેવામાં આવ્યા છે,જે ભારે આશ્ચર્ય સર્જનારા પણ કહી શકાય તેવા છે.