Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનપટેલે આગામી વર્ષ માટેનું બજેટ આજે વિધાનસભા ગૃહમાં રજુ કર્યું છે, ખાસ કરીને સતત લોકોની સુરક્ષા માટે ખડેપગે રહેતા આપના પોલીસજવાનો માટે અને ગૃહ વિભાગ માટે કુલ રૂ.૭૫૦૩ કરોડની જોગવાઇ રાજ્યની કાયદો વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા વિવિધ સંવર્ગની ૧૧ હજાર નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે. જેથી યુવાનોને રોજગારીની સાથે સાથે રાજ્ય પોલીસ સેવામાં કામ કરવાની તક મળશે, જરૂરિયાતના સમયે કાયદો અને વ્યવસ્થા જાળવવા ઉપયોગી થતા હોમગાર્ડઝ જવાનોના હાલના ૪૫,૨૮૦ના સંખ્યાબળમાં ૪,૫૨૮નો વધારો કરી કુલ સંખ્યાબળ ૪૯,૮૦૮નું કરવાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે,
રાજયની જનતાની સુરક્ષા અને સલામતી માટે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરા લગાવવા રૂ.૧૧૧ કરોડની જોગવાઈ સાથે મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે સેફ સિટી પ્રોજેકટ અંતર્ગત નિર્ભયા ફંડ માટે રૂ.૬૩ કરોડની જોગવાઈ પણ આજે રજુ થયેલ બજેટમાં કરવામાં આવી છે, રાજયના નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે રાત – દિવસ ખડે પગે રહેતા પોલીસ કર્મીઓને રહેઠાણની ઉત્તમ સુવિધા પૂરી પાડવા આગામી ત્રણ વર્ષમાં કુલ ૧૩,૮૫૧ આવાસ બાંધવામાં આવશે, જે માટે રૂ.૨૮૮ કરોડની જોગવાઈ તો ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને સુદઢ અને કાર્યક્ષમ બનાવવા માટે રૂ.૮૦ કરોડની જોગવાઈ, કન્વીકશન રેટ ઈમપ્રુવમેન્ટ પ્રોજેકટ દ્વારા કન્વીકશન રેટ વધારવા માટે રૂ.૨૩ કરોડની જોગવાઈ કરવામાં આવ્યાનું જાણવા મળે છે.