Mysamachar.in-ગાંધીનગરઃ
પાટનગર ગાંધીનગરમાં એક પછી એક ત્રણ હત્યાને અંજામ આપનાર સીરિયલ કિલર મનિષ નાયક ઉર્ફે મદન માલીને પોલીસ ટીમે મહામૂસીબતે ઝડપી પાડ્યો હતો, હવે પોલીસ આરોપી વિરુદ્ધ પુરાવા શોધી રહી છે, આ દરમિયાન આરોપી સીરિયલ કિલરે વધુ એક ઘટસ્ફોટ કરતાં પોલીસ ટીમ પણ ચોંકી ઉઠી હતી. સીરિયલ કિલર મનિષે ચોથી હત્યાની કબૂલાત કરતા કહ્યું કે વિશાલ પટેલ નામના યુવકની પણ હત્યા કરી હતી. બાદમાં પોલીસે ત્રણ દિવસ સુધી તપાસ કરી વિશાલ પટેલના અવશેષો કબજે કર્યા હતા. બાદમાં સીરિયલ કિલર મનિષની સઘન પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે મૃતક વિશાલ પટેલ આરોપી પાસેથી લૂંટનો સામાન ખરીદતો હતો. મનિષની કરતૂત અંગે વિશાલને બધી ખબર જ હતી, જો કે અચનાક કિલર મનિષને શંકા ગઇ કે વિશાલ પોલીસ પાસે પહોંચી જશે અને પોલીસ તેને પકડી જશે આથી મનિષે પ્લાન ઘડી વિશાલને મળવા બોલાવ્યો અને તેની જ ગાડીમાં ગોળી મારી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ વિશાલના મૃતદેહને પથ્થર વડે છૂંદી ગટરમાં નાખી દીધો હતો. પોલીસે મનિષની કબૂલાત બાદ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.