Mysamachar.in-જામનગર:
જામનગર અને દેવભૂમિ દ્વારકા આ બન્ને જીલ્લાના વીજવિભાગના વડા એવા જામનગર PGVCLના અધિક્ષક ઈજનેર તરીકેનો કારભાર સંભાળતા એ.કે.મહેતાએ સ્વૈચ્છિક રાજીનામું મોકલ્યા બાદ તેઓનું રાજીનામું વિભાગ દ્વારા મંજુર કરી લેવામાં આવ્યું છે, અને તેવોએ અંગત કારણોસર રાજીનામું મૂક્યાનું જણાવ્યું છે, જો કે તેવોએ રાજીનામું મુક્યાની વાતનો ટેલીફોનીક વાતચીતમાં સ્વીકાર કર્યો પરંતુ રાજીનામું મંજુર થયું કે કેમ તે અંગે તેવોએ કોઈ ફોડ પાડી નથી, પણ આધારભૂત સુત્રો કહે છે કે આગામી તારીખ ૧૫ ફેબ્રુઆરીના રોજ તેવો સ્વૈચ્છિક નિવૃત થશે,
અધિક્ષક મહેતા જેવા સરળ અધિકારીના રાજીનામાં બાદ કોઈ કડક અધિકારી જામનગર સર્કલ માટે આવે તે ખુબ જરૂરી છે, નહિ તો ખુબીની અને ખામીની વાત એ છે કચેરીમાં એક જ જગ્યાએ વર્ષોથી વર્ચસ્વ જમાવી બેઠેલા વામનની હદબહારની વિરાટતા વધે છે અને વધતી રહેશે જેને કારણે જેને કામ કરવું છે, તેવા અધિકારીઓ અને કર્મચારીઓ મૂંઝવણમાં મુકાયા કરે છે, ઘણીવાર એવુ પણ બને કે રાજકોટ ગાંધીનગર અને જામનગર તાલુકાના એક નેતા સાથે એમ ત્રિકોણીય ગઠબંધન જાળવી રાખનાર આ પ્રથમ ચેમ્બર બિરાજીત વામન વિશે અનેક સખળ ડખળની છડેચોક ચર્ચા થાય છે, અને મોરની જેમ કળા કરતા હોઇ અણખામણા થઇ રહ્યા છે પરંતુ તેમને તો "સ્વ" વિકાસ કેન્દ્રમાં હોઇ અન્ય ટીકાઓ ઉપર તે ધ્યાન આપતા નથી તેમને લગત અમુક નાજુક "વહીવટ" અને "ગોઠવણ" રચ્યા પચ્યા રહે છે.