Mysamachar.in-જામનગર:
આમ તો દરવખતે ઉનાળો શરુ થાય અને જામનગરમાં પાણીની મોકાણ શરુ થાય શાશકોને ગાંધીનગર સુધી નર્મદામાંથી વધુ પાણી આપવા માટે રજુઆતો કરવી પડે અને લોકોને પણ પાણી માટે હાલાકી ભોગવવી પડે પણ આવું આ વખતે નહિ થાય…કારણ કે કુદરતે ગત ચોમાસામાં જામનગર પર ભારે મહેર કરી છે, તેને કારણે જામનગર શહેરને પાણી પૂરું પાડતા જળાશયોમાં પુરતો પાણીનો જથ્થો છે અને કોઈ વિક્ષેપ વિના જુલાઈના અંત સુધી એટલે કે જ્યાં સુધી વરસાદ નહી આવે ત્યાં સુધી શહેરમાં હાલની જેમ જ એકાંતરા પાણી વિતરણ કરવામાં આવશે તેવો દાવો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષ જોશીએ કર્યો છે, જામનગર શહેરને પીવાનું પાણી પુરું પાડતાં રણજીતસાગર, સસોઇ, ઉંડ-1, આજી-3 અને નર્મદા યોજનામાં હાલ પાણી ઉપલબ્ધ છે, એટલું જ નહીં, જુલાઇની તા. 31 સુધી એકાંતરા પાણી વિતરણ થાય તો પણ લોકોને કોઇપણ મુશ્કેલી નહીં પડે તેવી હૈયાધારણ સ્ટે. કમિટીના ચેરમેન સુભાષ જોશીએ આપી છે,
જામનગર શહેરને પાણી પૂરું પાડતા જળાશયોના પાણીના જથ્થાની વાત કરવામાં આવે તો રણજીતસાગર ડેમમાંથી દરરોજ 25 એમએલડી પાણી આપવામાં આવે છે, અને 578 એમસીએફટી પાણીનો જથ્થો છે, સસોઇમાંથી દરરોજ 20 એમએલડી પાણી આપવામાં આવે છે, 434 એમસીએફટી પાણી હજુ પણ છે, ઉંડ-1 માંથી 25 એમએલડી પાણી લેવાય છે અને હાલમાં પણ હજી 700 એમસીએફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, આજી-3 માંથી પણ 40 એમએલડી પાણી દરરોજ લેવાય છે અને 614 એમસીએફટી પાણીનો જથ્થો ઉપલબ્ધછે.જામનગરને દરરોજ 110 થી 115 એમએલડી પાણીની જરુરીયાત છે ત્યારે વધુ જરુરીયાત પડે તો નર્મદામાંથી વધુ પાણી લેવાની છૂટ છે, એટલે કે શહેરને પીવાના પાણીની કોઇ તકલીફ નહીં પડે, લોકોને પાણીની તકલીફ નહીં પડે એટલું જ નહીં, રણમલ તળાવમાં પણ હજુ પાણીનો જથ્થો છે તેથી લોકોને પીવાનું પાણી મેળવવા માટે ડંકી અને કુવાના તળ સાજા થઇ ગયા છે, ત્યારે આ વખતે જામનગરવાસીઓ ને પાણી પ્રશ્ને કિલ્લત ભોગવવાનો વારો નહિ આવે.