Mysamachar.in-સુરતઃ
રાજ્યભરમાં ભારે ચર્ચા જગાવનાર વેવાઇ-વેવાણના કિસ્સામાં એક પછી એક વણાંક આવી રહ્યાં છે. ભાગી ગયેલા વેવાઇ-વેવાણ પરત આવ્યા બાદ વેવાણના પતિએ પત્નીને સ્વીકારવાની મનાઇ કરતાં મામલો ગુંચવાયો હતો, જો કે નારાજગી દૂર થતાં વેવાણના પતિએ ઘર ભાંગે નહીં તે માટે બધુ ભૂલી પત્નીને સ્વીકારવાનો સમાધાનકારી નિર્ણય લેતા અંતે ઘીના ઠામમાં ઘી પડ્યું હતું. આ અંગે વેવાણના પતિએ કહ્યું કે સમગ્ર ઘટનાથી હું ખુબ જ દુઃખી થયો છું, મારા પર જે વીતી છે તેની કોઇ કલ્પના પણ કરી શકે તેમ નથી, પરંતુ દામ્પત્યજીવનની સાચી વ્યાખ્યા ગમે તેવી પરિસ્થિતિમાં એકબીજાની સાથે ઉભા રહેવાનું છે. આ મુશ્કેલ સ્થિતિમાં હું જરા પણ નકારાત્મક વિચારવાને બદલે મારી પત્નીને સ્વીકારવા તૈયાર છું.
સમાધાનની બેઠક મળશે !
જગજાહેર થયેલા આ કિસ્સા બાદ સામાજીક આગેવાનો દ્વારા બંને પરિવારમાં સમાધાન માટેના પ્રયાસો શરૂ થયા હતા. જેમાં પત્ની ભાગી જવાથી નારાજ થયેલા પતિને મનાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા, આગામી બે-ત્રણ દિવસમાં સમાધાનની બેઠક મળશે જેમાં વેવાણના વયોવૃદ્ધ પિતાને આશા છે કે અમારા જમાઇ માની જશે અને દીકરીને સ્વીકારી લેશે. આ સમાધાનની બેઠક સફળ થવાથી સંતાનોને ફરી માતા-પિતાની હૂંફ મળી રહેશે.