Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
પાક વીમા માટે આ વખતે અરજી કરનાર હાલારના ૫૦ હજારથી વધુ ખેડૂતોને વીમો મળવાનો જ " વીમો"( એટલે કે મળશે કે કેમ) હોય તેવી સ્થિતિ બેંકોની અવળચંડાઇથી ઉભી થઇ છે,અને દર વર્ષની જેમ જ કૃષી પ્રધાન રાષ્ટ્રમા જગતનો તાત ફરી વલખા મારશે એવી સ્થિતિ સર્જાઇ છે. આમ અત્યારથી જ મોકાણ સર્જાઇ હોય ફરી ખેડૂતોએ લડતો કરવી પડશે. ખેતીવાડી તંત્ર આ બાબતે ગંભીરતા લેતુ જ નથી.એક તરફ અગાઉનુ જામનગરમાં પાક વીમાનું 31.50 કરોડનું ચૂકવણું બાકી છે,અને આ વર્ષે પાક વીમાની કુલ 119740 અરજી,( ગત વર્ષની સાપેક્ષે ચાલુ વર્ષે 9330 વધુ અરજી,) થઇ છે જેની બેંકો દ્વારા ૧૫ ઓગસ્ટ સુધી પ્રક્રિયા ચાલુ રહેશે
ખેડૂતોમાં જાગૃતિના કારણે ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે પાકવીમાની 9330 વધુ અરજી થઇ છે.ચાલુ વર્ષે પાકવીમાની થયેલી કુલ 119740 અરજીમાંથી અત્યાર સુધીમાં બેંકોમાં અડધાથી પણ ઓછી અરજી ફ્રીઝ એટલે કે વીમાપાત્ર થઇ છે. અરજી ફ્રીઝ કરવાની આખરી મુદત ૧૫ ઓગષ્ટ હોય બાકી અરજી ફ્રીઝ થશે કે કેમ તે સવાલ છે. માટે અડધાથી વધુ જે પચાશ હજાર જેટલા ખેડુતો માટે પાક વીમો મળશે કે કેમ તે જ ખુદ એક વીમો છે.
-તંત્રની બેદરકારીથી કેન્દ્રની યોજના અદ્ધરતાલ
કેન્દ્ર સરકારે પાકવીમા માટે જરૂરીયાતમંદ એવા વધુ ને વધુ ખેડૂતોને આવરી શકાય તે માટે વિશેષ જોગવાઇઓ કરી છે,જેનો વ્યાપક લાભ લેવા ઓનલાઇન અરજી કરવાની હતી,ત્યારે એક લાખથી વધુ અરજી સામે અડધી અરજી જ બેંકોએ પ્રોસેસમા ફ્રીઝ કરી છે,તંત્ર પણ આ બાબતે કંઇ ફોલોઅપ લેતુ નથી….માટે તંત્રના વાંકે ખેડૂતો લાભથી વંચીત રહિ પડ્યા પર પાટુ ભોગવે તે દિશામા ખેતીવાડી તંત્ર ઘોર બેદરકારી દાખવી રહ્યુ છે.