Mysamachar.in-જામનગર:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશભરમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે, જનતા કરફ્યું અને લોકડાઉન ની સ્થિતિ વચ્ચે આ દિવસો બંધાણીઓ તેમનો શોખ પૂરો કરવા પાન મસાલા ગુટકાના ડબલ ભાવોની ચુકવણી કરી રહ્યા છે અને હા ચુકવણી પણ બધા હસ્તે મોઢે કરવાની સાથે વધુ ને વધુ ખરીદી કરી રહ્યા હોવાની બાબતો પ્રકાશમાં આવવા પામી છે, શહેરના મુખ્ય માર્ગોને છોડીને શેરી ગલીઓમાં પાન મસાલાનો વ્યવસાય કરનારા લોકો દુકાનનું શટર બંધ રાખી પાછલા દરવાજે આ ધીકતો ધંધો આરંભ્યો છે, અને લોકો તેમના બંધાણ મુજબ પાન મસાલા સિગરેટ તમાકુ સહિતની ચીજવસ્તુઓની ખરીદી કરી રહ્યા છે, બંધાણીઓના કારણે આવા ધંધાર્થીઓ તગડી કમાણી કરી રહ્યા હોવાની બાબતો પણ પ્રકાશમાં આવી છે,
વહીવટી તંત્ર દ્વારા માત્ર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના વેચાણને મુક્તિ આપવામાં આવી છે, સાથોસાથ તેનું ચુસ્તપણે અમલ થાય તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે, તેમ છતાં અમુક વેપારીઓ દ્વારા તગડી કમાણી કરી લેવાના આશયથી તેઓ બિન્દાસ ધંધો કરી રહ્યા છે, શેરી ગલીઓમાં અને અલગ-અલગ મહોલ્લાઓમાં આવી દુકાનો સવારથી મોડી રાત સુધી કાર્યરત રહેતી હોવાની બાબતો પણ પ્રકાશમાં આવી છે, કોઈક દુકાનદારો તો હોમ ડીલેવેરી નું જોખમ લેવા પણ તૈયાર થઇ જાય છે,
જામનગરની ૭ લાખની વસ્તીમાં બંધાણીઓની સંખ્યા પણ વધારે પ્રમાણમાં હોવાથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં રહેલી પાન મસાલાની દુકાનોમાં બંધાણીઓના શોખ પૂરા કરવા આવા વેપારીઓ જોખમ ઉઠાવી રહ્યા છે, પરંતુ જ્યારે વહીવટી તંત્ર આવા દુકાનદારો સામે કડક પગલાં ભરશે ત્યારે વેપારીઓને બચાવવા માટે એક પણ બંધાણી આગળ નહીં આવે તેવી બાબતો પણ લોકોમાં ચર્ચાઈ રહી છે.