Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં રણજીત સાગર રોડ ઉપર કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વગર શાળા શરૂ કરનાર મોદી સ્કૂલે ઉદ્યોગનગરમાં પ્રદૂષિત વાતાવરણમાં શાળા શરૂ કરી એક હજાર બાળકોના આરોગ્ય સામે સવાલ ઉભાં કરતાં આ મામલે ઍડવોકેટ હારૂન પલેજાએ આરોગ્ય અધિકારી સમક્ષ સ્ફોટક રજૂઆત કરી બાળકોના હિતમાં આ શાળાની મંજૂરી રદ્ કરી બાળકોને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા સ્ફોટક રજૂઆત કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જામનગરના ઍડવોકેટ હારૂન પલેજાએ જામનગર જિલ્લા પંચાયત અને મહાનગર પાલિકાના આરોગ્ય અધિકારીને ચોંકાવનારી રજૂઆત કરતાં જણાવ્યું છે કે, એમ.પી.શાહ ઉદ્યોગનગરની ઔદ્યોગીક એકમોની વચ્ચે બી.એસ.એન.એલની બાજુમાં અદ્યતન ખાનગી શૈક્ષણિક સંસ્થા મોદી સ્કૂલના નામે ચાલુ કરવામાં આવેલ છે. આ મોદી સ્કૂલ ઔદ્યોગીક વિસ્તારમાં હોય અને ઔદ્યોગીક વિભાગમાં રહેણાંક તેમજ સ્કૂલ અંગેની બાંધકામની મંજુરી કાયદેસર મળી શકે નહી. તેવી સ્પષ્ટ જોગવાઇ કાયદામાં રહેલી છે.
કેમકે ઔદ્યોગીક વિસ્તારના પ્રદૂષણથી લોકોની જાનમાલની સલામતી જળવાય રહે તે માટે કાયદાએ સુનિશ્ચિત કરેલ છે.
આમ છતાં આ શૈક્ષણિક સંસ્થાનું બિલ્ડીંગ બનાવવામાં આવેલ છે. અને આ બિલ્ડીંગમાં શૈક્ષણિક સંસ્થા કાર્યરત કરવામાં આવેલ છે. અને આ શૈક્ષણિક સંસ્થામાં 1000 જેટલા વિદ્યાર્થીઓ કે જેમની વય 3.5 વર્ષથી લઇ 16 વર્ષ સુધીના છે. આમ, ઔદ્યોગીક પ્રદૂષણની અસર પુખ્ત વયના મનુષ્ય કરતા નાના બાળકોમાં તાત્કાલીક થતી હોય અને તે વિસ્તારના ઔદ્યોગીક પ્રદૂષણની આડ અસરમાં આ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતા બાળકોને 100% થાય અને થઇ હશે. તે નિર્વિવાદ હકિકત છે. અને જેનાથી ભારતનું ભવિષ્ય ગણાતા આ બાળકોમાં ગંભીર બિમારીઓનું પ્રમાણ વધે તેમ છે.
ઉલ્લેખનિય છે કે, જામનગર જિલ્લા શિક્ષણાધિકારીની ઢીલી નીતિના પાપે મોદી સ્કૂલના સંચાલકો મનમાની કરી રહ્યાં છે. રણજીત સાગર રોડ ઉપર સરકારની કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વગર બ્રાન્ચ શાળા ખોલી અનેક વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બનાવવાની ચેષ્ટા કરી હોવા છતાં જિલ્લા શિક્ષણાધિકારી ડોડિયા મૌન ધારણ કરીને બેઠાં છે. આ સંજોગોમાં હવે ઉદ્યોગનગરની શાળામાં પણ બાળકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યાં હોવાની સ્ફોટક રજૂઆત થતાં મોદી સ્કૂલના ભોપાળાં સપાટી ઉપર આવ્યા છે.
આ સંજોગોમાં ઍડવોકેટ હારૂન પલેજાએ જામનગરના એમ.પી. શાહ ઉદ્યોગનગરમાં ભારે પ્રદૂષણ વચ્ચે ધમધમી રહેલી મોદી સ્કૂલ સામે સવાલો ઉઠાવ્યા છે. હજારો બાળકોના ભવિષ્ય સાથે આ શાળાના કારણે ચેડા થઇ રહયા છે. જેથી તાત્કાલીક ધોરણે આ શાળાના વિદ્યાર્થીઓને તાત્કાલીક અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા અને શાળાની મંજુરી રદ કરવા સહિતની કાર્યવાહી કરવા માંગ ઉઠાવી છે. ઉપરાંત બાળકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે તાત્કાલીક કાર્યવાહી કરવામાં નહી આવે તો, નાછુટકે આ અંગે જવાબદાર બધા જ અધિકારીઓ સામે કાનુની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી ચિમકી પણ રજૂઆતના અંતે ઉચ્ચારતા ચકચાર જાગી છે.