Mysamachar.in-જામનગર:
વિકાસ વિકાસના બણગા ફૂંકતું ભાજપ..અને જામનગર મહાનગરપાલિકા વિકાસની પરિભાષા કોને કહેતું હશે તે હમણાં જ જાણવા મળ્યું… જામનગર મહાનગરપાલિકા દ્વારા કયારેક લાખો રૂપિયાના ખર્ચે કરાતા કામ અંગે એવા નિર્ણય લેવાતા હોય છે કે લોકોમાં તેના વિષે ચર્ચાનો વિષય બને છે. આવા વધુ એક નિર્ણય અને કામગીરી હાલ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બનેલ છે.જેમાં સીસી રોડ પર ડામર રોડનું મેટલીંગ કરવાની વાતે શહેરમાં આશ્ચર્ય જગાડ્યું છે.જામનગર મહાનગરપાલિકાની સિવિલ શાખા દ્વારા વિકાસગૃહ રોડ તરીકે ઓળખાય છે, તે માર્ગ સિમેન્ટ કોંક્રીટનો થોડા સમય પૂર્વે બનાવાયો હતો. આશરે એકાદ કિ.મી. જેટલો સીસી રોડ બનાવ્યો હતો.
એવામાં છેલ્લા કેટલાક સમયથી આ માર્ગમાંથી ઠેક-ઠેકાણે સિમેન્ટ-કોંકીંટ ઉખડી ગયું હતું. પરિણામે વાહન ચાલકોને આ માર્ગ ઉપરથી પસાર થવામાં થડકા સહન કરવા પડતા હતાં. હવે આ માર્ગ ડામરથી મઢવામાં આવી રહ્યો છે,એટલે કે સિમેન્ટકોન્ક્રીટના રોડ પર ડામરના પેચવર્ક કરવામાં આવતા વિપક્ષે સવાલો ઉઠાવીને આટલા રૂપિયામાં ચાંદીના રોડ બની જાય તેવો ટોણો માર્યો છે, અલ્તાફ ખફી એ કહ્યું કે આવા કામો કરીને મનપા બુદ્ધિનું પ્રદર્શન કરે છે, તો લોકોની રજુઆત અને આ વોર્ડના કોર્પોરેટરોની ભલામણને લીધે જામનગર મહાનગરપાલિકાની સિવિલ શાખા દ્વારા આ માર્ગના નવિનીકરણનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સ્ટેન્ડીંગ કમિટિમાં આ માર્ગનું કામ મંજુર કરાવાયું હતું. આ માર્ગ ખુબ જ નબળી ગુણવત્તાવાળો જે તે સમયે બનાવાયો હતો પણ હાલ સિમેન્ટ પર સીલકોટની કામગીરી ચાલી રહ્યાનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષ જોશીએ જણાવ્યું..
હમણાં હમણાં સ્વપ્રસિદ્ધિમાં ગુંચવાયેલ મનપાના પદાધિકારી અને અધિકારીઓ આવા કામો પર ફોડ નથી પાડતા, સુત્રો તો ત્યાં સુધી કહે છે કે હાલના કોન્ટ્રાકટરો દ્વારા બનતા સી.સી.રોડ દશ વર્ષ સુધી ટકતા નથી. કેમ કે હવે મોટાભાગના કામોના કોન્ટ્રાકટ ચુંટાયેલા લોકોનું હીત સાચવતા હોવાથી પદાધિકારીઓ કે અધિકારીઓ આંખ આડા કાન કરવા ઘણી વખત મજબુર બની જાય છે અને એ રીતે દલાતરવાડીઓના પાયે જામનગરના પ્રમાણિક કરદાતાઓ દ્વારા ચુકવાત વેરાની આવકનો પાણીની જેમ વેડફાટ થઇ જાય છે.
-જુના કોન્ટ્રાકટરના કામો પર ઢાંકપીછાડો કરવા ડામરનું કામ?
મનપાના સુત્રો કહે છે કે આ સીસીરોડનું કામ જયારે થયું ત્યારે ફરિયાદો ઉઠી હતી અને તેથી જ કદાચ રોડ ખુલવા લાગ્યો, અને હવે સીસીરોડ પર ડામરનું સીલકોટ કરીને જુના કામ પાર ઢાંકપીછાડો કરવાનો પ્રયાસ તો નથી ને તેવું પણ ચર્ચાઈ છે, પણ સાચું તો સિવિલ શાખાના બાહોશ અધિકારી જ જાણે…