Mysamachar.in-જામનગર:
જામનગરના દરેડ વિસ્તારમાંથી 14 માસના બાળકનો કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યા બાદ દરેડ વિસ્તારને સંપૂર્ણ ક્વોરેન્ટાઇન કરવામાં આવેલ છે. મેડિકલ કોલેજ જામનગર ખાતે કલેક્ટર રવિશંકર દ્વારા ડીન નંદીનીદેસાઈ, અધિક્ષક નંદીની બાહીરી,નોડલ ઓફિસર ડો.ચેટરજી, ડો. દિપક તિવારી સહિતના સિનિયર ડોકટરો સાથે બેઠક યોજાઇ હતી. બેઠક બાદ પત્રકાર પરિષદમાં કલેકટરએ જાહેર કર્યું હતું કે, જિલ્લા સ્તરે કોવિડ-૧૯ની સામે લડત માટે 100 બેડની હોસ્પિટલ નિયમાનુસાર કાર્યરત કરવાની હોય છે, જેની સામે આગોતરા પગલાંરૂપે નવી જી.જી.હોસ્પિટલ ખાતેની બિલ્ડિંગમાં 700 બેડની વ્યવસ્થા સાથે સંપૂર્ણ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે તૈયાર કરવામાં આવી છે.
આ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ફ્લુ ઓપીડીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેમાં બાળકો માટેની અલગ ઓપીડી પણ કાર્યરત રહેશે. આ નવી બિલ્ડીંગ ખાતે જે વોર્ડની કામગીરી ચાલુ હતી તે દરેક વોર્ડને જૂની બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવેલ છે તેમ જણાવી અધિક્ષક નંદીની બાહિરીએ કહ્યું હતું કે, બિલ્ડીંગના 4 અને 5 માં માળ ઉપ૨ રાજ્ય સરકારની ગાઇડલાઇન અનુસારની ૧૦૦ બેડની હોસ્પિટલ તૈયાર છે. જેમાં 20 બેડ આઇ.સી.યુ, 5 બેડક્રિટિકલ એટલે કે વેન્ટીલેટર વગેરે આવશ્યકતાઓ સાથેના તૈયાર છે. જી.જી. હોસ્પિટલ ખાતે મેડિકલ કોલેજ પણ હોવાથી ડોક્ટરોની ટીમ સતત હાજર રહેશે.
આ હોસ્પિટલમાં જો વધુ બેડની આવશ્યકતા ઉત્પન્ન થાય તો 700 બેડ સુધી દર્દીઓને સમાવી શકવાની કેપેસિટી આ બિલ્ડિંગ ધરાવે છે તેવી જ રીતે 35 થી 40 બેડ ક્રિટિકલ એટલે કે વેન્ટિલેટર સહિતની વ્યવસ્થાઓ સાથેના પણ કરી શકાશે. કોવિડ હોસ્પિટલમાં હાલ 15 સિનિયર ફિઝિશિયન ડોકટર, 50 રેસિડન્ટ ડોક્ટર, 6 બાળકોના સિનિયર ડોકટર્સ અને 10 બાળકોના ડોકટર તદુપરાંત 54 નર્સિંગ સ્ટાફઅને 50 જેટલા સફાઈ વગેરે કર્મચારીઓની સંખ્યા હોય કોવિડ હોસ્પિટલમાં તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ફ્લુ ઓપીડીમાં આવનાર દરેકને માસ્ક આપવામાં આવશે અને તેઓએ તે માસ્ક પહેરીને જ અંદર ઓપીડીમાં આવવાનું રહેશે તેમ જણાવી અધિક્ષકએ ઉમેર્યું હતું કે, આગામી દિવસોમાં દર્દીના પરિવારજનોને હોસ્પિટલમાં ટિફિન લાવવાની પણ મનાઈ કરવામાં આવશે જેનાથી કોરોનાના ચેપની શક્યતા ઘટાડી શકાશે. વળી સંસ્થાઓ દ્વારા ફુડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે તે સમયે હોસ્પિટલમાં લોકો અનાવશ્યક અવરજવરના કરે તે માટે આ પગલાં લેવામાં આવશે. સાથે જ લોકો હોસ્પિટલ ખાતે દર્દીને મળવા પણ નહી આવી શકે.
હોસ્પિટલમાં દર્દી અને ડોક્ટર સિવાય કોઈને પ્રવેશ આપવામાં આવશે નહીં તેવી તાકીદ સાથે કલેકટર રવિશંકરે કહ્યું હતું કે, ગઈકાલે મળેલ પોઝિટિવ કેસ બાદ દરેડ વિસ્તાર અને પોઝિટિવ કેસના પરિજનો સાથે સંપર્કમાં આવેલા ૧૧ હજારથી વધુ લોકોનો સર્વે થયો છે અને તેમાંથી ૮૦૦ થી ૧૦૦૦ લોકોને હાલ તેના સંપર્કમાં આવેલ જાણવા મળેલ છે, આ સમયે કોર્પોરેશન, જિલ્લા પંચાયતની આરોગ્યની ટીમ કોવીડને રોકવા માટે પ્રિવેન્ટિવ પગલાં લઈ રહી છે તો સાથે જ જી.જી. હોસ્પિટલ ખાતે ડોક્ટરની ટીમ કયોરેટીવ પાર્ટ સંભાળશે. જી.જી.હોસ્પિટલ ખાતે તૈયાર કરેલ કોવીડ હોસ્પિટલમાં આવતીકાલે સમગ્ર સ્ટાફને ડીટેલ ટ્રેનિંગ આપવામાં આવશે કે જેથી તેઓ દરેક પરિસ્થિતિ માટે સજ્જ બને.
-લોકોમાં હકારાત્મક ઉર્જા લાવવા મ્યુઝીકલ વાન મોકલવામાં આવી
કોરોનાવાયરસની બીમારીથી લોકડાઉનની પરિસ્થિતિમાં લોકોમાં હાલ ભયના વાતાવરણનું નિર્માણ થયું છે સતત ઘરમાં રહેવું એ અન્ય પ્રશ્નો ઉત્પન્ન પણ કરી રહ્યું છે. ચીડિયાપણું, ગુસ્સો આવવો, ચિંતામાં રહેવું વગેરે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરતા વિચારોથી અનેક માનસિક પ્રશ્ન લોકોમાં ઉત્પન્ન થતાં જોવા મળી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર તરફથી ૧૧૦૦ નંબરની હેલ્પલાઇનનો પ્રારંભ કરાયો છે. જેમાં ઘરે બેઠા ટેલીકાઉન્સેલિંગ દ્વારા લોકોને પોતાની સમસ્યાઓના નિરાકરણ મળી શકશે. વળી જામનગર ખાતે તંત્ર દ્વારા લોકોમાં આ નકારાત્મક ઉર્જાનો ખાત્મો કરી શકાય અને આ સમયમાં લોકો ગભરાઈને પોતાની જાતને નુકસાન ન કરી બેસે તેમજ કોરોના સામેની જંગમાં લોકો સહયોગ આપે તે માટે એક ઑર્કેસ્ટ્રા વાન જામનગરના વિવિધ વિસ્તારોમાં મોકલવામાં આવી છે આ વાન દ્વારા કોરોના અંગેની સમજણ આપવામાં આવશે અને તેમાં સહયોગ આપતા સ્વયંસેવકો પોતાના ગાયન, વાદન દ્વારા લોકોને મનોરંજન આપીને આ ગંભીર પરિસ્થિતિમાં હકારાત્મક ઉર્જા તરફ વાળવાનો પ્રયાસ કરશે.