Mysamachar.in-જામનગર, દેવભૂમિ દ્વારકા
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના આશરે સાત લાખ વીજ ગ્રાહકોને આગામી ત્રણ મહિના સુધી આપવામાં આવતા વીજબિલમાં વસુલવામાં આવતા ફયુઅલ સરચાર્જમાં 16 પૈસાનો ઘટાડો કરવાની જાહેરાત ઉર્જામંત્રી એ કરી છે, જેના પગલે રાજ્યના 1.30 કરોડથી વધુ ગ્રાહકોને રૂપિયા ૩૧૦થી કરોડની રાહતનો લાભ મળશે,રાજ્યમાં વીજગ્રાહકોને સસ્તાદરે વીજળી મળી રહે અને વીજ ઉત્પાદન ખર્ચનું ભારણ ગ્રાહકો પર ન પડે એ માટે રાજ્ય સરકારે ફ્યૂઅલ સરચાર્જમાં ઘટાડો કર્યો છે. આ અંગે ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર હસ્તકની વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યૂઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 16 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેના પરિણામે રાજ્યના અંદાજે 1.30 કરોડથી વધુ ગ્રાહકોને રૂ. 310 કરોડની રાહતોનો લાભ મળશે. આ ફાયદો ત્રિમાસિકગાળા એપ્રિલથી જૂન દરમિયાન મળશે.
ઊર્જામંત્રીએ સૌરભ પટેલે ઉમેર્યું કે વીજ વપરાશકર્તા ગ્રાહકો પાસેથી વીજ બિલમાં એનર્જી ચાર્જ ઉપરાંત ફ્યૂઅલ સરચાર્જ લેવામાં આવે છે, આ ફ્યુઅલ સરચાર્જની વસૂલાત ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા નક્કી કરેલ ફોર્મ્યુલાના આધારે વસૂલવામાં આવે છે. પાછલા ત્રિમાસિક ગાળા દરમિયાન એટલેકે જાન્યુઆરીથી માર્ચ 2020 દરમિયાન ફ્યૂઅલ સરચાર્જ પ્રતિ યુનિટ રૂ 2.06 પૈસા લેખે વસૂલાતો હતો તેની સામે એપ્રિલ 2020થી જૂન 2020ના ત્રિમાસિક ગાળા દરમિયાન ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ રૂપિયા 1.90ના દરે વસૂલવાનો થાય છે આમ ગત ત્રિમાસિક ગાળા કરતાં આ ત્રિમાસિક ગાળામાં ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટમાં 16 પૈસાનો ઘટાડો થયો છે આ ઘટાડાના કારણે વીજ ગ્રાહકોને રૂપિયા 310 કરોડની રાહત મળશે.