Mysamachar.in-જામનગરઃ
ત્રિપલ તલાકને લઇને ભારે હોબાળા છતા નવો કાયદો બન્યા બાદ હાલારમાં પ્રથમ ફરિયાદ નોંધાઇ છે, ફરિયાદમાં મહિલાએ જણાવ્યું કે તેના પતિએ ત્રણ વખત તલાક, તલાક, તલાક બોલી ઘરમાંથી કાઢી મૂકી, એટલું જ નહીં સાસરિયા દ્વારા મારઝૂડ કરવાથી લઇ અનેક પ્રકારે શારીરીક તથા માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. જામનગરના ગુલાબનગરમાં રંગમતી સોસાયટીમાં રહેતી નાઝમીનબેને ફરિયાદ નોંધાવી કે તેના પતિ ઇમ્તીયાઝ ખેરાણીએ તથા સાસુ-સસરા અને દિયરે લગ્ન જીવન દરમિયાન માનસિક તથા શારીરીક ત્રાસ આપ્યો, બાદમાં પતિ ઇમ્તીયાઝે ત્રણ વખત તલાક બોલી છૂટાછેડા આપી તેણીને ઘરમાંથી કાઢી મૂકી છે, પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ નવા કાયદા પ્રમાણે આઈ.પી.સી. કલમ ૪૯૮એ, ૫૦૪, ૩૨૩,૧૧૪ તથા ધ મુસ્લીમ વુમેન પ્રોટેક્શન ઓફ રાઈટ ઓન મેરેજ એક્ટ ૨૦૧૯ની કલમ ૩,૪ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
શું છે ત્રિપલ તલાકના નવા કાયદાની જોગવાઇ ?
મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકારોની સુરક્ષા) વિધેયક, 2019 હવે કાયદો બની જતાં પુરુષ બોલીને, લખીને, મૅસેજ, વૉટ્સઍપ કોઈ અન્ય ઇલેક્ટ્રૉનિક ચૅટ ઍપ્સથી ટ્રિપલ તલાક આપે તો તે ગેરકાયદે ગણાશે. આ બિલમાં ટ્રિપલ તલાકને કૉગ્નિસેબલ ગુનો ગણે છે, જે પોલીસ અધિકારીને વૉરંટ વિના આરોપીની ધરપકડ કરવાનો પાવર આપે છે. ટ્રિપલ તલાક થયા હોય એવા કિસ્સામાં જો અન્યાય થયો હોય તે મહિલા કે તેમના કોઈ સંબંધી ફરિયાદ નોંધાવે તો જ આ બિલ અંતર્ગત તે ગુનો લેખાશે. આ બિલમાં એવી જોગવાઈ છે કે ટ્રિપલ તલાક આપનાર પુરુષને ત્રણ વર્ષની જેલની સજા થઈ શકે છે. આ બિલમાં સમાધાન અંગેની જોગવાઈ પણ કરવામાં આવી છે. જે અંતર્ગત બંને પક્ષો ઇચ્છે તો કાયદાકીય કાર્યવાહી રોકીને સમાધાન કરી શકે છે. ઉપરાંત આ બિલમાં જેમને તલાક આપવામાં આવ્યા હોય તે મહિલા પોતાના માટે અને તેના બાળક માટે ભરણપોષણ માગી શકે છે. ટ્રિપલ તલાક બિલ અંતર્ગત છૂટાછેટા થયા હોય તે મહિલા તેના બાળકની કસ્ટડી મેળવવાનો અધિકાર ધરાવે છે. જે મામલે મૅજિસ્ટ્રેટ નિર્ણય લેશે.