Mysamachar.in-જામનગર
કોરોનાની મહામારીને અટકાવવા માટે જાહેર કરેલા લોકડાઉનને પગલે જામનગર શહેર અને આજુબાજુના વિસ્તારોમાં રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અનાજ અને શાકભાજીની ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ હોવાની વાસ્તવિકતાની સાથે શહેરના રાજકીય તેમજ વહીવટી તંત્ર અને વિવિધ યુવક મંડળ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં અનાજ અને શાકભાજીની કીટનું વિતરણ કરી સહાયનો શુભારંભ કર્યો છે, સહાયની આ સરવાણી અવિરત જારી રહે અને જરૂરીયાત મંદોને વધુ ને વધુ લોકો સહાયરૂપ થાય તે વર્તમાન સંજોગોમાં ખૂબ જ આવશ્યક બન્યું છે,
જામનગરમાં લોકડાઉનના દિવસો જેમ જેમ પસાર થતા જાય છે, તેમ તેમ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો પાસે અનાજ અને શાકભાજીનો જથ્થો ખલાસ થઈ જવા પામ્યો હોવાની વાસ્તવિકતાને ધ્યાને લઇ વહીવટી તંત્ર દ્વારા જામનગર નજીકના ચેલા તેમજ જીઆઇડીસી વિસ્તારમાં વસવાટ કરતા શ્રમીકોને અનાજ તેમજ નાસ્તાની કીટનું વિતરણ કરી ઉમદા ફરજ અદા કરી હતી, આ ઉપરાંત રણજીતસાગર રોડ પર આવેલા ઈવા તથા રઘુવીર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓએ હસુભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ અલગ-અલગ વિસ્તારમાં ગરીબો તેમજ જરૂરિયાત મંદોને ભોજનની સામગ્રીની કીટનું વિતરણ કરી પ્રેરણાકીય સેવા કામગીરી દર્શાવી હતી,
આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી તેમજ તેમની ટીમ દ્વારા શહેરના વોર્ડ નંબર 12 અને 13 માં આવેલા ઘાંચીના કબ્રસ્તાન કોળીનો ડેલો સહિતના વિસ્તારોમાં ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને અનાજને કીટનું વિતરણ કરી પ્રેરણાદાયી કામગીરી દર્શાવી હતી, તેમજ શહેરના જાણીતા બિલ્ડર સુરેશભાઈ વસરા તથા તેમના મિત્ર મંડળ દ્વારા લોકડાઉનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ, પોલીસ સ્ટેશનો તેમજ રાશનકીટ તૈયાર કરતા લોકો માટે અને વિવિધ યુવક મંડળના સદસ્યો માટે નિશુલ્ક આ માસ્કનું વિતરણ કર્યું હતું
જ્યારે વોર્ડ નંબર 13 ના કોર્પોરેટર મનીષ કનખરા અને તેમને ટીમ દ્વારા ગરીબ પરિવારને અનાજની 500 કીટ અર્પણ કરવામાં આવી હતી, તેમજ શહેરના રણજીતસાગર રોડ પર જાણીતા યુવા કાર્યકર પરેશભાઈ પટેલ તથા તેમની ટીમ દ્વારા કુદરત ગ્રુપ ઓફ કંપનીવાળા જ્ય પટેલના સહયોગથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને અનાજ અને શાકભાજીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ૧૮૦૦ કિલો ચોખા, ૧૧૦૦ તેલની બોટલો મગની દાળ સહિતની ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે
વર્તમાન સમયને ધ્યાને લઇ ગરીબ પરિવાર અને જરૂરિયાત મંદ લોકો માટે શહેરની અન્ય સંસ્થાઓ તેમજ યુવક મંડળ દ્વારા આવી સેવા કામગીરી અવિરત રાખવામાં આવશે તો ૨૧ દિવસના લોકડાઉન ને આપણે સૌ હેમખેમ રીતે પસાર કરી જશું સાથોસાથ સરકારના અને વહીવટી તંત્રના સૂચનોનું પાલન કરે ઘરમાં રહી સાવધાની રાખવી જરૂરી છે