Mysamachar.in-ગાંધીનગરઃ
રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે લોકડાઉન લાગુ છે. અને લોકડાઉન નો ત્રીજો તબક્કો ચાલુ થઇ રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી હાઇલેવલની મિટિંગમાં લોકડાઉનને લઇને અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.સીએમઓ સચિવ અશ્વિનીકુમારે સરકારે લીધેલા નિર્ણયોની માહિતી આપતા જણાવ્યું હતું કે, કોરોનાના વધુ કેસ હોવાના કારણે અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, ગાંધીનગર જેવા મહાનગરોમાં કોઈ છૂટછાટ નહિ અપાય. તે સિવાય રાજ્યમાં પાન- ગલ્લાની દુકાન ખોલવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કોઇ પણ ઝોનમાં પાનની દુકાન ખોલવાની મંજૂરી નથી.અને આગામી બે અઠવાડિયા સુધી પાનમાવાની દુકાનો અને દારૂની દુકાનો ખોલી શકાશે નહિ.
તે સિવાય અશ્વિની કુમારે કહ્યુ કે, રાજ્યમાં કોરોનાના કેસ વધુ હોવાના કારણે લોકડાઉનના કડક પાલનની જરૂર છે. જીવન જરૂરિયાતની વસ્તુ સિવાય કોઈ પણ ઓફિસ ખોલવાની મંજૂરી આપવામાં આવશે નહિ. રાજકોટ ભલે ઓરેન્જ ઝોનમાં હોય પરંતુ ત્યાં પણ લોકડાઉનમાં કોઇ છૂટછાટ અપાશે નહીં.અને રેડઝોન જેવી જ અમલવારી કરવામાં આવશે, ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં બ્યૂટીપાર્લર અને સલુનની દુકાન ખોલી શકાશે. તે સિવાય ગ્રીન ઝોનમાં એસ ટી બસ પણ સીમિત મુસાફરો સાથે ચાલુ થશે, જુનાગઢ અને જામનગરમાં ઉદ્યોગો ની કામગીરી શરુ કરી શકાશે.વધુમાં સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી બહાર અવરજવર થઇ શકશે નહિ અને તેનું પાલન થાય તે માટે તમામ જિલ્લાઓને સૂચનાઓ આપી દેવામાં આવી છે
રેડ ઝોનમાં છૂટછાટ
રેડ ઝોનમાં સમાવિષ્ટ જિલ્લાઓમાં માત્ર જીવન જરૂરી અને આવશ્યક ચીજ વસ્તુઓ જેવી કે દૂધ, કરિયાણા, દવા, શાકભાજી અને ફ્રૂટ વેચાણ થઈ શકશે અન્ય કોઈ જ ઓફીસ કે દુકાને શરૂ કરી શકાશે નહીં.
(ગાંધીનગર, ભાવનગર, વડોદરા, સુરત, અમદાવાદ અને રાજકોટ)
– રાજકોટ ઓરેન્જ ઝોન હોવા છતાં તકેદારીના કારણોસર ત્યાં રેડ ઝોન મુજબના નિયમોનું પાલન કરશે…
ઓરેન્જ ઝોનમાં છૂટછાટ
– ઓરેન્જ ઝોનમાં સમાવિષ્ટ જિલ્લાઓમાં હેર કટિંગ સલૂન, ચાની દુકાન, બ્યુટી પાર્લર અને ટેક્સી અને કેબ ફેસીલીટી શરૂ કરી શકાશે…
-કેબમાં એક ડ્રાઇવર અને બે મુસાફર(૧+૨) જ બેસી શકશે…
——————————————————————————————
ગ્રીન ઝોનમાં છૂટછાટ
– ગ્રીન ઝોનમાં સમાવિષ્ટ જિલ્લાઓમાં હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર, ચાની દુકાન અને ટેક્સી – કેબ ફેસીલીટી શરૂ કરી શકાશે..
– કેબમાં એક ડ્રાઇવર અને બે મુસાફર (૧+૨) જ બેસી શકશે.
– તે ઉપરાંત વધુમાં વધુ ૩૦ મુસાફરો સાથે એસટી બસ સેવા શરૂ કરી શકાશે.
(૩૦ થી વધુ મુસાફર હશે તો ડ્રાઈવર કંડકટર સામે ગુનો દાખલ કરાશે)
વધુમાં રેડ, ઓરેન્જ અને ગ્રીન ત્રણમાંથી એક પણ ઝોનમાં હજુ બે અઠવાડિયા સુધી પાન-મસાલાના ગલ્લા અને લિકર શોપ શરૂ કરી શકાશે નહીં