Mysamachar.in-જામનગર:
જામનગર રણજીતસાગર રોડ પર શૈક્ષણિક કાર્ય ચલાવવાની મંજૂરી વગર મોદી સ્કૂલ ચલાવીને હજારો વિદ્યાર્થીઓના પાયાના ઘડતર સાથે રમત કરવાના પ્રકરણમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના વડા ડોડીયા મોદી સ્કૂલ સંચાલકને બોધપાઠ આપવાના બદલે પીઠું બની જતાં ભારે ટીકા થઇ રહી છે અને દંડ ફટકારવા મામલે દિવસો વીતી ચુક્યા છતાં નિર્ણય ન લેતાં જામનગર વિદ્યાર્થી પાંખ એબીવીપી મોદી સ્કૂલને દંડ ફટકારવા મામલે મેદાનમાં આવીને ચીમકી ઉચ્ચારી રહી છે.
જામનગર શહેર એબીવીપીના મંત્રી કુશલ બોસમિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર શાખા હાલમાં જામનગર ગ્રીનસિટી વિસ્તારમાં આવેલી પી.વી. મોદી સ્કૂલ જે ગેરકાયદેસર રીતે ચાલી રહી હતી તે ઘટનાને વખોડે છે. આ શાળા ચાર મહિનાના સમયગાળાથી ગેર કાયદેસર રીતે ચાલી હતી છતાં પણ સરકારી તંત્ર ઉંઘતુ હતું અને હાલ પણ શાળાને કોઇ પણ જાતનો દંડ કરવામાં આવ્યો નથી. જ્યારે હજારો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરવામાં આવ્યા છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સરકાર પાસે માંગ કરે છે કે આ અને બીજી આવી કોઇપણ શાળા હોય તો તેના ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને સરકાર જો કાર્યવાહી નહીં કરે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એના વિરોધમાં કાર્યવાહી કરશે તેવું જણાવ્યું છે.
વધુમાં બોસમિયા એ કહ્યું કે આગામી દિવસોમાં મોદી સ્કૂલને દંડ ફટકારવામાં નહીં આવે તો ડી.ઇ.ઓ. કચેરીએ ઘેરાવ કરવાનો કાર્યક્રમ કરીને ડી.ઇ.ઓ. ડોડીયા પાસે દંડ શા માટે ફટકારવામાં નથી આવતો અને લાખો રૂપિયાનો દંડ ફટકારવાની કાર્યવાહી કરીને અન્ય શાળા સંચાલક મંડળ હાટડા ખોલીને બાળકોના ભવિષ્ય સાથે ચેડાં ન કરે તે માટે બોધપાઠ આપવા દંડ કરવો જરૂર છે તેવો મત વ્યકત કર્યો છે.