Mysamachar.in-જામનગર
હાલની કોરોનાની વિકટ પરિસ્થિતિને ધ્યાને લઇને લેઉવા પટેલ સમાજ જામનગર દ્વારા 50 બેડનું આઇસોલેશન સેન્ટર શરુ કરવા નક્કી કરવામાં આવ્યું છે. જામનગર શહેરી વિસ્તારમાં વસતા અનેક જ્ઞાતિજનોને હોમ આઇશોલેશનની સુવિધામાં પડતી અગવડતાને ધ્યાને લઇ ભોજન તથા નાસ્તા સહિતની વ્યવસ્થા સાથે જ્ઞાતિજનોના સહકારથી ટુંક સમયમાં જ આ સેન્ટર શરુ કરવા આયોજન હાથ ધરાયું છે.
રણજીતનગર સમાજ ભવન ખાતે જ્ઞાતિનાં પ્રમુખ મનસુખભાઇ રાબડીયાની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં ડો. મહેશ દૂધાગરા, ડો. નિકુંજ ચોવટીયા, ડો. રૂચિ વિરાણી, તરુણ વિરાણી સહિત જ્ઞાતિના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કોરોનાની આ વૈશ્ર્વિક મહામારીમાં જ્ઞાતિજનોની પડખે ઉભા રહેવા આયોજન કરવામાં આવ્યું છે. આ તકે લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઇ રાબડીયાએ શહેરમાં તબીબી સેવાઓ સાથે જોડાયેલ ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફને આ સેવા કાર્યમાં સહભાગી થવા અપીલ કરી છે.