Mysamachar.in-મોરબી:
મોરબીમાં ગત તા.15/12/2022 ના સાંજના સમયે કારખાનાની રોકડ રકમ રૂ.29,00,000 લઇને પોતાના ઘરે જતા કેશીયર સાથે પોતાની કાર ભટકાડી દઈ તેની પાસેથી અજાણ્યા ત્રણ ઈસમોએ કડા રૂપીયા ભરેલ થેલો ઝુંટવી લૂંટ ચલાવતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે ઘટનાની ગંભીરતા જાણી મોરબી ક્રાઇમ બ્રાંચે ગણતરીના દિવસોમા ભેદ ઉકેલી લુંટમાં ગયેલ મુદામાલ તથા લુંટ કરતી ગેંગના 7 સભ્યોને પકડી પાડ્યા છે જ્યારે એક આરોપીની શોધખોળ હાથ ધરાઇ છે.
તા.15/12/2022 ના સાંજના સમયે આ કામના ફરીયાદી ચંદ્રેશભાઇ સવજીભાઇ શીરવી કે જે પીપળી રોડ ઉપર આવેલ કેલેફેક્શન ટેકનો પ્રા.લી નામના કારખાનામાં કેશીયર તરીકે નોકરી કરતા હોય અને જેઓ કારખાનાની રોકડ રકમ રૂ.29,00,000 લઇને કારખાનાથી પોતાના ઘર તરફ મોટર સાયકલ ઉપર જતા હતા. તે દરમ્યાન અજાણી ફોર વ્હીલ કારે મોટર સાયકલ સાથે ગાડી ભટકાડી ફરીયાદીને પાડી દઇ અજાણ્યા ત્રણ માણસો ફોર વ્હીલમાંથી ઉતરી ફરીયાદીને ઢીકાપાટુનો મુંઢ માર મારી ફરીયાદી પાસે રહેલ રોકડા રૂપીયા ભરેલ થેલો ઝુંટવી જઇ ફરીયાદીને સામાન્ય ઇજા કરેલ હોય જે બાબતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીઓ તથા મુદામાલ શોધી કાઢવા બાબતે રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવે સુચના આપતા મોરબી જિલ્લા એસ.પી રાહુલ ત્રીપાઠીની સુચના અને જરૂરી માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી અને મોરબી તાલુકા પોલીસે સંયુકત રીતે ગુનામાં વપરાયેલ ફોર વ્હીલ કાર તથા આરોપીઓને તાત્કાલિક શોધી કાઢી ગુન્હો ઉકેલી કાઢવા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમની અલગ અલગ ટીમો સાથે પ્રયત્નો હાથ ધર્યા હતા.
તપાસ દરમ્યાન બનાવ સ્થળની વિઝીટ કરી પ્રથમ ફરીયાદી જે કારખાનામાં કામ કરતા હતા તે કારખાનામાં કામ કરતા અન્ય સહ કર્મચારી તેમજ જરૂરી શકમંદોની પુછપરછ કરવામાં આવેલ. તેમજ ઉંડાણ પુર્વકની તપાસ દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સ માધ્યમમાથી જાણવા મળેલ કે આ કામના ફરીયાદી જે કારખાનામા કામ કરે છે. તેઓની સાથે કામ કરતા કર્મચારીએ આ બાબતે ટીપ આપેલ હોય અને ગુનાને અંજામ આપનાર આરોપીઓ હોન્ડા સીટી, કીયા તથા બલેનો ગાડીનો ઉપયોગ કરેલ હોય અને લુંટના ગુનાને અંજામ આપતા પહેલા આરોપીઓ દ્વારા કારખાનાથી લઇ મોરબી સુધીના રૂટની રેંકી કરેલનુ જાણવા મળ્યું હતું. તેમજ બનાવના દિવસે ફરીયાદી રોકડ રકમ સાથે ફેકટરીએથી ઘર તરફ જવા નીકળતા આ લુંટના ગુન્હાને અંજામ આપેલ હોય…
જે ગુન્હાને અંજામ આપનાર અર્જુનગીરી નારદગીરી ગોસાઇ, ભગવાન ઉર્ફે ભગો કરશનભાઇ આલ, દશરથ ઉર્ફે લાદેન જાલુભાઇ પરમાર, મહિપાલસિંહ ઉર્ફે મહીપતસિંહ અભેસંગ ગોહીલ, મયુરભાઇ ઉર્ફે મયુરસિંહ દિલીપભાઇ ડોડીયા, રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા દિલીપસિંહ લીંબોલા, શકિતસિંહ ઉર્ફે ભાણો નીનુભા ગોહીલ ૭ ઇસમોને ગયેલ મુદામાલ પૈકીના રોકડા રૂપીયા 15,00,000, 4 કાર તથા 6 મોબાઇલ ફોન મળી કુલ રૂ.28,30,500નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જયારે હજુ સુરેન્દ્રનગરના ચોટીલા થાનરોડ, ભુમી સોસાયટીમાં રહેતા મનીષ સોલંકીને પકડવાનો બાકી છે.