Mysamachar.in-દાહોદ:ભરૂચ
રાજ્યમાં આજે દશેરાના તહેવારના દિવસે વહેલી સવારમાં જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આજે સવારે રાજ્યના બે સ્થળોએ થયેલા મોટા અકસ્માતમાં કુલ 5 ના મોત થયાની ઘટના સામે આવી છે, રાજ્યના ભરૂચ અને દાહોદ જિલ્લામાંથી અકસ્માતની જુદી જુદી ઘટનામાં 5 લોકોના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે, દાહોદના નાનીડોકી ખાતે રીક્ષા પાણીમાં ખાબકી હતી. તળાવના કોતરમાં રીક્ષા ગરકાવ થતા 3 બાળકોનાં મોત નીપજ્યા હતા. જો કે રીક્ષામાં સવાર 3 મહિલાનો આ અકસ્માતમાં બચાવ થયો હતો. હોસ્પિટલથી પ્રસુતિ બાદ ઘરે લઈ જતા રસ્તામાં બની હતી ઘટના. ફાયર ફાઈટરની ટીમે મૃતદેહોને બહાર કાઢી હતી. પાણીમાં રીક્ષા કેવી રીતે ખાબકી તે તો મહિલાઓના નિવેદન બાદ જ જાણી શકાશે પરંતુ નાનકડાં એવા ગામમાં માતમનો માહોલ છવાયો હતો.
જયારે ભરૂચના દહેજ રોડ ઉપર દશાન નજીક આજે સવારે એક ગમખ્વાર અકસ્માત થયો હતો, આ અકસ્માતમાં એક ટ્રકની ટક્કર બાદ ટેમ્પો પલટી જતા ટેમ્પોમાં સવાર 2 લોકોનાં મોત નિપજ્યા હતી. જ્યારે આ ગમ્ખાવર અકસ્માતમાં 3 લોકોને ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા. અંકલેશ્વરના વેપારી દહેજની રવિવારીમાં વેપાર કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન કાળ બની આવેલા ટ્રકની ટક્કરે બે કમનસીબોનું પ્રાણનું પંખેરૂં ઉડી ગયું હતું. આમ આ બન્ને અકસ્માત મળીને કુલ પાંચ લોકોને આજના દિવસે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.