Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાની અન્ય વેરાની જેમ વ્યવસાય વેરાની વસૂલાતમાં ઢીલીનીતિના કારણે 20000 આસામીના વ્યવસાય વેરાના રૂ.16 કરોડ બાકી છે. જે પૈકી ગત વર્ષે 14000 ધંધાર્થીએ વેરો ભરપાઇ ન કરતા રૂ.12 કરોડનું લેણું હોવા છતાં જામ્યુકો વેરા વસૂલાતમાં ઘોર બેદરકારી દાખવી રહી છે. ચાલુ વર્ષે 30 સપ્ટેમ્બરના મુદ્દત પૂર્ણ થવા છતાં ગત વર્ષ અને ચાલુ વર્ષ મળીને 20 હજાર જેટલા આસામીઓએ નિયમ મુજબ વેરો ભરપાઇ કર્યો નથી છતાં જામનગર મહાનગરપાલિકા આ બાબતે ઢીલાશ દખાવી છે
જામ્યુકો અન્ય વેરા વસૂલાતની જેમ વ્યવસાય વેરાની વસૂલાતમાં પણ ઢીલી અખત્યાર કરી રહી છે. કારણ કે, ચાલુ વર્ષે વ્યવસાય વેરો ભરવાની અંતિમ મુદત 30 સપ્ટેમ્બર હતી છતાં 20000 જેટલા આસામીએ વેરો ભરપાઇ ન કરતા 4 કરોડ બાકી છે જયારે ગત વર્ષે એટલે કે વર્ષ 2019-20 માં 14000 આસામીએ વેરો ભરપાઇ ન કરતા રૂ.12 કરોડ બાકી છે. એક બાજુ જામ્યુકોની તિજોરી તળિયાઝાટક રહે છે આ સ્થિતિમાં મનપા વેરા વસૂલવામાં ઢીલાશ દાખવતા વ્યવસાય વેરાનું 16 કરોડનું લેણું બાકી છે.
ગત વર્ષે વ્યવસાય વેરો ન ભરનાર શહેરના 14000 આસામીને નોટીસ ફટકારવામાં આવી છે. વર્ષ 2019-20 અને 2020-21 ના વર્ષનો મળી કુલ રૂ.16 કરોડ જેટલો વ્યવસાય વેરો બાકી છે. ચાલુ વર્ષે 30 સપ્ટેમ્બર અંતિમ મુદત છે. વેરો ભરપાઇ ન કરનાર આસામીઓ પૈકી હજુ સુધી કોઇની મિલકત જપ્ત કરવામાં આવી નથી (જાણે ઉપકાર કર્યો હોય તેમ) જામનગર મહાનગરપાલિકા દ્વારા વાર્ષિક રૂ.2000 થી 2400 સુધી વ્યવસાય વેરો વસૂલવામાં આવે છે. જેમાં જીએસટી રજીર્સ્ટડ વગરના વેપારીઓ પાસેથી 2000 જયારે જીએસટી નંબર ધરાવતા હોય અને 10 લાખથી વધુ ટર્ન ઓવર હોય તો 2400, 5 થી 10 લાખનું ટર્નઓવર હોય તો 1000 અને તેથી ઓછું હોય તો 500 વેરો વસૂલ કરવામાં આવે છે.
મિલકત વેરાની જેમ જો આસામીઓ વ્યવસાય વેરો ભરપાઇ ન કરે તો મનપા દ્વારા નિયમ મુજબ પ્રથમ નોટીસ અપાશે. ગત વર્ષે વેરો ન ભરનાર 14000 આસામીઓને નોટીસ અપાઇ છે. આમ છતાં વ્યવસાય વેરો ભરપાઇ ન કરનાર આસામીઓની મિલકત જપ્તી કરવા સુધીની જોગવાઇ છે. પરંતુ જામ્યુકો દ્વારા ગત વર્ષે વ્યવસાય વેરો ભરપાઇ ન કરનાર એક પણ આસામીની મિલકત જપ્ત કરવામાં આવી નથી. પરંતુ સાથે સાથે એક તરફ ગત વર્ષની મંદી આ વર્ષની કોરોનાની મંદીમા વેપારીઓ સાથે સંવેદના રાખવી જરૂરી છે, કેમકે મધ્યમ પ્રકારના વેપારીઓને નોટીસ આપવાના બદલે બીજા વેરાઓ જે માલેતુજાર માથાઓ પાસે બાકી છે તેમની મિલકત જપ્ત કરવા જાવ ને ખબર પડશે તેમ અમુક ટીકાકારો જણાવે છે.